લંડનઃ ભારત અને યુકે વચ્ચેના કોમર્શિયલ વિવાદો પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધન કરતાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી આર ગવઇએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે એક સમાન કાયદાના સિદ્ધાંતોમાં મૂળ સાથેનો સમૃદ્ધ કાયદાકીય વારસો ધરાવે છે. બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારે તેને વધુ મજબૂત બનાવ્યો છે. કાયદાકીય સંદર્ભમાં બંને દેશ વચ્ચેના ગાઢ સહકારને કારણે બંને દેશ વચ્ચેના વેપારને પણ લાભ થશે.
જુલાઇ 2018માં ભારત અને યુકે વચ્ચે થયેલા એમઓયુનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસ ગવઇએ જણાવ્યું હતું કે, આ એમઓયુને કારણે બંને દેશ વચ્ચે કાયદા અને ન્યાય માટેના સંબંધો વધુ મજબૂત બન્યાં હતાં. હવે મુક્ત વેપાર કરારને કારણે આ સંબંધ વધુ મજબૂત બનવા જઇ રહ્યો છે.
યુકેની સુપ્રીમ કોર્ટના જજ લોર્ડ માઇકલ બ્રિગ્સે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે તાજેતરમાં કરાયેલા મુક્ત વેપાર કરારથી બંને દેશ વચ્ચેના અદાલતી અને લવાદી સંબંધોને પણ વેગ મળશે.
યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરાર ભારત સરકારની ખરીદીના માર્ગ પણ ખુલ્લા કરશે અને બ્રિટિશ કંપનીઓને સમાન તકો મળી રહેશે. વિવિધ સર્વિસ સેક્ટરો ખુલ્લાં મૂકાવાના કારણે બંને દેશને લાભ થશે.