લંડનઃ ઉત્તરવહીની ચકાસણીમાં ખામીના કારણે લગભગ 40,000 વિદ્યાર્થીને જીસીએસઇ ઇંગ્લિશની પરીક્ષા ફરી આપવી પડે તેવી નોબત આવી છે. જાહેર થયેલા પરિણામ અનુસાર 20,00,000 વિદ્યાર્થીને ડી ગ્રેડને સમકક્ષ ગ્રેડ થ્રી અપાયો છે. જો કોઇ અનુભવી અથવા સીનિયર પરીક્ષક દ્વારા પેપરનું મૂલ્યાંકન કરાયું હોત તો 39,000 વિદ્યાર્થીને ગ્રેડ 4 મળી શક્યો હોત. ગ્રેડ 4ને પાસિંગ માર્ક ગણાય છે જે વિદ્યાર્થીને પુનઃપરીક્ષા આપવાથી બચાવે છે.
અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને A-levels નો અભ્યાસ ચાલુ રાખવા માટે પુનઃપરીક્ષા આપવી પડે છે. માહિતી મુજબ, આશરે 30 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ગણિતમાં નાપાસ થવાને કારણે પુનઃપરીક્ષાનો સામનો કરે છે. શિક્ષણ નિષ્ણાત ડેનિસ શેરવુડે જણાવ્યું હતું કે, 39,000 વિદ્યાર્થીઓ કે જેઓ વાસ્તવમાં ગ્રેડ 4 ને પાત્ર હતા પરંતુ તેમને ગ્રેડ 3 આપવામાં આવ્યો, તે આંકડો ઉપલબ્ધ માહિતીના આધારે સૌથી ચોક્કસ અંદાજ છે.


