લંડનઃ મધ્ય વયના મોટા ભાગના બચતકારો બે આર્થિક મંદીઓ અને કઠોર પેન્શન સિસ્ટમના કારણે વૃદ્ધાવસ્થામાં જીવન કેવી રીતે પસાર કરવું તેની મુશ્કેલી અનુભવશે તેમ નવા અભ્યાસના તારણો જણાવે છે. ઘણાએ તો જિંદગીના સાતમા દાયકામાં પણ કામ કરતા રહેવું પડશે. ફાઈનાન્સિયલ ટેકનોલોજી ફર્મ ડનસ્ટાન થોમસ અનુસાર નિવૃત્તિમાં મધ્યમ લાઈફસ્ટાઈલ જાળવવી હોય તો તે માટે તમારે માસિક ૮૦૦ પાઉન્ડ અલગ મૂકવા પડે પરંતુ, મધ્યમ વયના માત્ર પાંચ ટકા વર્કર માસિક ૭૫૦ પાઉન્ડથી વધુ બચત કરી શકે છે. બે મંદી અને કઠોર પેન્શન સિસ્ટમનો સામનો કરવાના કારણે મોટા ભાગના મધ્ય વયના બચતકારોએ વૃદ્ધાવસ્થામાં થોડીઘણી રાહત મળી શકે તે માટે વધુ કામકાજ કરતા રહેવું પડશે. નાણાકીય મંદી અને કોરોના વાઈરસની કટોકટીના લીધે હાલ ૪૦-૪૫ વયજૂથના ઘણા લોકોની કમાણી ખોરવાઈ ગઈ છે અને તેમણે ઉદાર ફાઈનલ સેલરી પેન્શન્સ તેમજ ઓટો-એનરોલમેન્ટના સંપૂર્ણ લાભ પણ ગુમાવવા પડશે.