લંડનઃ સાંસદ કિથ વાઝે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડેવિડ કેમરન વચ્ચે મુલાકાતનો મુદ્દો હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવ્યો હતો. મોદીની સાથે મુલાકાત દરમિયાન વેપાર વધારવાના ચોક્કસ પગલાની ચર્ચા તેમ જ તેમણે મોદીને યુકે આવવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે કેમ તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. વડા પ્રધાન કેમરને કહ્યું હતું કે બ્રિટન ભારતમાં દ્વિતીય ક્રમનું સૌથી મોટું રોકાણકાર છે, પરંતુ વેપાર મુદ્દે હજુ ઘણું બધું થઈ શકે છે. અમે ઈયુ-ભારત ફ્રી ટ્રેડ કરારની જરૂર વિશે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં જે કરવામાં સફળતા મેળવી તેનું પુનરાવર્તન દેશમાં કરવાની સ્પષ્ટ દૃષ્ટિ તેઓ ધરાવે છે.
ઓસ્બોર્ન ફ્રીજને તાળુ મારે છે

લંડનઃ લિબરલ ડેમોક્રેટ ડેપ્યુટી લીડર ડેની એલેકઝાન્ડરે કહ્યું હતું કે લોકોને પોતાનું દૂધ ચોરી જતા અટકાવવા ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન પોતાના ફ્રીજને તાળુ મારી રાખે છે. ચાન્સેલરના પેપર્સ તૈયાર કરવાની ફરજ ધરાવતા અધિકારી આ ડબલ સાઈઝના ફ્રીજ પર સતત નજર રાખતા હોવાનો દાવો લિબરલ ડેમોક્રેટ સૂત્રોએ કર્યો હતો. જોકે, ઓસ્બોર્નના સહાયકોએ આ વાતને નકારતાં જણાવ્યું હતું કે ફ્રીજનો ઉપયોગ એલેકઝાન્ડર પણ કરે છે અને ફ્રીજની ચાવી લોકો દૂધ તૈયાર કરી શકે તે માટે તેની ઉપર જ રખાય છે. એલેકઝાન્ડરે કહ્યું હતું કે અમે ઘણી ભાગીદારી કરીએ છીએ, પરંતુ તેઓ દૂધ તો તાળામાં જ રાખે છે.
રીસાઈકલિંગ પ્લાનથી ટીવીની કિંમત ઘટશે
લંડનઃ નવી ક્રાંતિકારી રીસાઈકલિંગ યોજના હેઠળ ખરીદારો ટેલિવિઝન, ફ્રીજ અને વોશિંગ મશીનના ટ્રેડિંગથી સેંકડો પાઉન્ડની બચત કરી શકશે. સેઈન્સબરીથી સેમસંગ સુધીની ૫૦ કંપનીઓ ચાલુ હાલતમાં ઈલેક્ટ્રોનિક સાધનો પરત કરનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને વાઉચર ઓફર કરશે. મધ્યમ રેન્જનું બે વર્ષ જૂનું લેપટોપ કોમ્પ્યુટર આશરે ૨૪૦ પાઉન્ડની કિંમત ધરાવે છે, જ્યારે ત્રણ વર્ષ જૂના ૫૫ ઈંચના ટેલીવિઝનની કિંમત આશરે ૪૭૫ પાઉન્ડ રહે છે. મોટા રીટેઈલર્સ અને સુપર માર્કેટ્સ ગ્રાહકો પોતાના બિનજરૂરી જૂના ઉપકરણો અને સાધનો લઈ જઈ શકે તેવા ડ્રોપ-ઓફ પોઈન્ટ્સની ઓફર કરી શકે છે.
જીપી કેવી સંભાળ લે છે? ક્વોલિટીનું રેન્કિંગ

લંડનઃ હેલ્થ વોચડોગ કેર ક્વોલિટી કમિશને સૌપ્રથમ વખત ઈંગ્લેન્ડના દરેક ડોક્ટરની પ્રેક્ટિસના ઓનલાઈન રેન્કિંગ પ્રસિદ્ધ કર્યા છે. પરિણામે, લોકો પ્રથમ વખત જીપીની સર્જરીઓની ગુણવત્તાની સરખામણી કરી શકવા ઉપરાંત, પૂર્ણ માહિતી સાથે પોતાના ડોક્ટરની પસંદગી પણ કરી શકશે. દર છમાંથી એક સર્જરી નિયત ધોરણો કરતાં ઘણી નીચી સારસંભાળ સેવા પાડતી હોવાનું જાણવા મળ્યું છે. આ કેટેગરીમાં ૧૦થી વધુ સર્જરીઓ સૌથી વધુ ચિંતાજનક હોવાનું દર્શાવાયું છે. આનાથી હજારો પેશન્ટ્સને નબળી સારવાર મળતી હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. આગામી મહિનાઓમાં આવા દવાખાનાઓનું ઈન્સ્પેક્શન કરાશે.
માઈગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં બ્રિટન મોખરે

લંડનઃ મોટા પાયે ઈમિગ્રેશન પછી ઈયુના કોઈ પણ દેશની સરખામણીએ બ્રિટન વધુ માઈગ્રન્ટ્સને નવા પાસપોર્ટ સાથે નાગરિકતા આપે છે. યુરોપિયન કમિશન (ઇસી)ની સત્તાવાર આંકડાકીય સંસ્થા યુરોસ્ટેટ અનુસાર બ્રિટને ૨૦૧૨માં ૧૯૩,૦૦૦ વિદેશીઓને નાગરિકત્વ આપ્યું હતું, જ્યારે ઈયુના ૨૮ દેશોએ મળીને તેના ૨૫ ટકા જેટલાને નાગરિકતા આપી છે. વર્તમાન સદીમાં બ્રિટને ૨.૧ મિલિયનથી વધુ માઈગ્રન્ટ્સને પોતાના નાગરિક બનાવ્યાં છે. ઈમિગ્રેશનમાં ભારે ઊછાળા પછી માઈગ્રન્ટ્સે બ્રિટનને પોતાનું વતન બનાવવા નિર્ણય કર્યો હતો.
ઈસ્લામિક ડેથ સ્ક્વોડ સાથે અંજેમ ચૌધરીનો સંબંધ
લંડનઃ ઈસ્લામિક સ્ટેટ સંગઠનના વીડિયોમાં કેદીઓનો શિરચ્છેદ કરતી ડેથ સ્ક્વોડનો ૨૮ વર્ષીય સભ્ય અબ્દેલમાજિદ ઘારમાઓઈ બ્રિટનના કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરી સાથે સંપર્કો ધરાવે છે. એન્ટવર્પમાં કટ્ટરવાદી સંગઠન શરીઆફોરબેલ્જિયમના ૪૬ સભ્યો સામે ખટલો ચાલે છે, જેમાં માત્ર આઠ આરોપી સભ્ય હાજર છે. નાસતાફરતા અબ્દેલમાજિદ સહિત અન્ય સભ્યો યુદ્ધમેદાનમાં છે કે મોતને ભેટ્યાં હોવાનું મનાય છે. આ સંગઠન સામે ઈસ્લામિક ભાડૂતી લડવૈયાઓને શસ્ત્રો પહોંચાડવાનો આરોપ છે. ચૌધરી ઈસ્લામફોરયુકે સંગઠન ચલાવતો હતો ત્યારે તેણે શરીઆફોરબેલ્જિયમ સ્થાપવા મદદ કરી હતી. યુકે હોમ ઓફિસે ચૌધરીના ૧૦ સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે.