લંડન: વડાપ્રધાન સ્ટાર્મરે મંગળવારે દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણી નેતાઓને હાકલ કરી હતી કે તેઓ સમાજના દરેક ખૂણેથી યહૂદી નફરત નાબૂદ કરવા માટે એકજૂથ થઈને કામ કરે. બે યહૂદી પુરુષો પર થયેલા છરાબાજીના હુમલા અને અન્ય શ્રેણીબદ્ધ ઘટનાઓ બાદ સ્થિતિની ગંભીરતા જોતા આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી.
વડાપ્રધાન સ્ટાર્મરે સંકેત આપ્યો હતો કે તપાસકર્તાઓ આ હુમલાઓ પાછળ કોઈ વિદેશી તાકાત (જેમ કે ઈરાન) નો હાથ હોવાની દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. સરકારે યહૂદી સમુદાયોની સુરક્ષા માટે વધારાના 25 મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત કરી છે.
બેઠક દરમિયાન વડાપ્રધાન સ્ટાર્મરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ઈરાન કે અન્ય કોઈપણ દેશ જે આપણા સમાજમાં હિંસા, નફરત અથવા વિભાજન ફેલાવવાનો પ્રયાસ કરશે, તેને સાંખી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર આવા જોખમો સામે લડવા માટે ઝડપી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી નફરતને રોકવા માટે, સ્ટાર્મરે યુનિવર્સિટીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે.

