લંડનઃ યુકેના વિપક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર જણાવ્યું હતું કે, તમામ મહત્વના ક્ષેત્રમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો વિસ્તારવાનો સમય આવી ગયો છે. બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારવાથી પરસ્પર લાભ થવાની મોટી સંભાવના છે. કેર સ્ટાર્મર દ્વારા કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર તેઓ આગામી મહિને લંડનમાં યોજાનારી યુકે-ઇન્ડિયા વીક સમિટમાં મહત્વનું સંબોધન કરશે. જેમાં લેબર નેતા તેમની પાર્ટી ભારત સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા ઇચ્છે છે તેનો ચિતાર રજૂ કરશે. કેર સ્ટાર્મરના પુરોગામી જેરેમી કોર્બિનના કાશ્મીર સહિતના કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર ભારત વિરોધી વલણના કારણે લેબર પાર્ટી અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ સર્જાયો હતો.
કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભવિષ્ય તરફ જોવાનો અને ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી અને ઇનોવેશન, ક્લાઇમેટ એક્શન, વૈવિધ્યતા અને એકરૂપતા, આરોગ્ય, સ્કીલ અને એજ્યુકેશન જેવા મહત્વના ક્ષેત્રમાં વ્યાપક સહકારનો સમય આવી ગયો છે. તેનાથી બંને દેશોને મોટો લાભ થશે. હું ઇન્ડિયા ગ્લોબર ફોરમને સંબોધન કરવાનો છું. લેબર પાર્ટી ઘણા લાંબા સમયથી ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે અને મને તેના માટે ગૌરવ છે.