લંડનઃ યુકે અને ભારત વચ્ચે વધી રહેલા ટેકનોલોજિકલ સહકારનો ઉલ્લેખ કરતાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વૈશ્વિક સ્તરે એઆઇ સુપર પાવર તરીકે ઉભરી આવ્યાં છે. લંડનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા આયોજિત એઆઇ-ઇવેન્ટમાં સુનાકે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વૈશ્વિક એઆઇ સુપર પાવર્સની યાદીમાં સામેલ છે. હાલમાં ભારતે યુકેને રેન્કિંગમાં પાછળ પાડી દીધો છે.
સુનાકે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નન્સમાં યુકે અને ભારત એકસમાન વિચારધારા ધરાવે છે. બંને દેશ આકરા નિયંત્રણોને સ્થાને ઇનોવેશન ફ્રેન્ડલી નીતિઓની તરફેણ કરે છે. બંને દેશનો દ્રષ્ટિકોણ એકસમાન છે. બંનેમાંથી કોઇપણ યુરોપિયન સંઘની નિયંત્રણ પદ્ધતિ અથવા તો અમેરિકાના એડહોક અભિગમને સમર્થન આપતાં નથી. બંને દેશ સિદ્ધાંતોને પ્રાથમિકતા આપતો વ્યવહારુ અને નવીનતાને પ્રોત્સાહિત કરતો અભિગમ ધરાવે છે. મને વિશ્વાસ છે કે દુનિયા ભલે વિભાજિત હોય પરંતુ સમજદાર અભિગમ પર બંને દેશ સાથે મળીને કામ કરી શકે છે.
પૂર્વ વડાપ્રધાને ઉદ્ભવતી ટેકનોલોજીના સલામત વિકાસ માટે સહકારના મહત્વ પર પણ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે પોતાનું એઆઈ સિક્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપ્યું હતું અને યુકેની સમકક્ષ સંસ્થાની સાથે વધુ મજબૂત સહકાર માટે અપીલ કરી હતી. બંને દેશે સહકાર વધારવા સાથે મળીને કામ કરવું જોઇએ. એઆઈ સિક્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ્સ વચ્ચેના સંયુક્ત પ્રયત્નો ઉદ્ભવતી ટેકનોલોજીના જોખમોથી આપણું રક્ષણ કરી શકે છે.


