લંડનઃ કોરોના વાઈરસ મહામારીમાં ટ્રાવેલ પરના નિયંત્રણોમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. વિદેશના અન્ય સ્થળોએથી યુકે પરત આવતા લોકો માટે હવે બે સપ્તાહ- ૧૪ દિવસના ક્વોરેન્ટાઈન ગાળાના બદલે માત્ર સાત દિવસના જ ક્વોરેન્ટાઈન-એકાંતવાસ રાખવાની જાહેરાત ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ દ્વારા કરવામાં આવી છે. પ્રવાસીઓએ ઘરમાં સાત દિવસ અલગ રહ્યા પછી બીજા સપ્તાહે ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ટેસ્ટનો ખર્ચ પ્રવાસીએ જ ભોગવવાનો રહેશે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ૧૪ ઓક્ટોબરે વર્ચ્યુઅલ ABTA ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ સમક્ષ જાહેરાત કરી હતી કે યુકે પરત આવનારા ટ્રાવેલર્સે હવે સાત દિવસનો એકાંતવાસ સેવવાનો રહેશે અને યુકેમાં ઉતરાણ કર્યાના એક સપ્તાહ પછી કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવો પડશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ યુકેના એરપોર્ટ્સ અને પોર્ટ્સ પર ઉતરાણ સાથે જ કોવિડ ટેસ્ટિંગને નકારતા જણાવ્યું હતું કે,‘અમે ડોમેસ્ટિક પરીક્ષણ નિયમો સૂચવીએ છીએ જેમાં, લોકો ઉતરાણ કરે, એક સપ્તાહ રાહ જુએ અને વેળાસર ટેસ્ટ કરાવી લે અને મુક્ત થાય. આ ટેસ્ટ રુબરુ જ કરાવવાનો રહેશે અને પ્રાઈવેટ સેક્ટર દ્વારા તેની વ્યવસ્થા કરાશે જેના કારણે NHS પર વધારાનો બોજ આવે નહિ.’ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ટેસ્ટનો ખર્ચ ટ્રાવેલરના માથે જ આવશે.
તેમણે કહ્યું હતું કે બ્રિટન આંતરરાષ્ટ્રીય માન્ય પદ્ધતિ અનુસરશે જેમાં, પરીક્ષણો અને એકાંતવાસ પ્રવાસ કરવા અગાઉ અને પછીથી કરાશે જેના પરિણામે, ક્વોરેન્ટાઈનની જરુર રહેશે નહિ. આ પગલાંઓના કારણે આગામી મહિનાઓમાં હવાઈ પ્રવાસ ખેડનારાઓની સંખ્યામાં ગણનાપાત્ર વધારો થશે.