લંડનઃ યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.
ઇન્ડિયા એપીપીજીના અધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ આ બેઠકને એક મહત્વપૂર્ણ અવસર ગણાવી નવા અમલી બનેલા વેપાર કરારની ક્ષમતા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળના બ્રિટિશરો માટે સમાન ગર્વ અનુભવતા વ્યક્તિ તરીકે બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે યોગદાન આપવા સમાન અન્ય કોઈ ગૌરવપૂર્ણ બાબત હોઈ શકે નહીં. ઐતિહાસિક સિદ્ધી સમાન આ વેપાર કરાર દ્વિપક્ષીય વેપારને વધુ વેગ આપશે, રોકાણ આકર્ષિત કરશે, નવી રોજગારીનું સર્જન કરશે અને ઇનોવેશનને પ્રોત્સાહન આપશે. હું દ્રઢપણે માનુ છું કે આ કરારના પરિણાણે આપણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી 200 મિલિયન પાઉન્ડ સુધી પહોંચાડી શકીએ છીએ.


