યુકે.. સંક્ષિપ્ત સમાચાર -1

Wednesday 07th April 2021 03:11 EDT
 

• ચાર વર્ષમાં ૧૧ શંકાસ્પદ ત્રાસવાદી બ્રિટન પરત ફર્યાઃ

સાત મહિલા સહિત ૧૧ શંકાસ્પદ ત્રાસવાદી ચાર વર્ષમાં ગુપ્ત રીતે બ્રિટન પરત ફર્યાના અહેવાલ જોનાથન હોલ QCના રિપોર્ટમાં છે. સીરિયા અને ઈરાકથી સાથે સંકળાયેલા લોકો બ્રિટન પરત આવે તેના પર સખત નિયંત્રણો લદાયાં હોવાં છતાં, ૧૧ શંકાસ્પદ ત્રાસવાદીને ગુપ્ત રીતે બ્રિટન પાછાં ફરવાની પરવાનગી અપાઈ છે. ટેમ્પરરી એક્સક્લુઝન ઓર્ડર (TEO) મારફત સાત મહિલા અને ચાર પુરુષ પર નજર રખી રહી છે. હોલના ૨૦૦ પાના રિપોર્ટમાં બિનબ્રિટિશ નાગરિકોને પણ યુકે પાછા ફરવા દઈ TEO લાગુ કરવાની ભલામણ પણ કરાઈ છે. આ પગલું બ્રિટિશ નાગરિકતા ગુમાવનારી શમીમા બેગમના કિસ્સામાં પણ કાનૂની અધિકાર તરીકે લાગુ કરી શકાય તેમ છે. ૧૧ શંકાસ્પદ ત્રાસવાદીમાંથી ૨૦૧૭માં ચાર,૨૦૧૮માં પાંચ અને ૨૦૧૯માં બે વ્યક્તિ યુકે પરત આવ્યા હતા.

• માર્ટિન બશીરને £૬૦,૦૦૦ ચૂકવાયાઃ

ઓગસ્ટ મહિનાથી બીમારીની રજા પર રહેલા બીબીસીના ૫૮ વર્ષીય પ્રેઝન્ટર માર્ટિન બશીરને અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડ ચૂકવાયા છે. તેણે પ્રિન્સેસ ડાયેનાનો ૧૯૯૫નો પેનોરોમા ઈન્ટરવ્યૂ હાંસલ કરવા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાં બાબતે વિવાદમાં આવ્યા પછી  ઈન્ક્વાયરી ચાલી રહી છે ત્યારે તેની કાનૂની ફી તેમજ તેનો પગાર, બીમારીનો પગાર અને પેન્શન ફાળાની ચૂકવણી પણ કરદાતાઓ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ લોર્ડ ડાયસને નવેમ્બરમાં ઈન્ક્વાયરી શરુ કરી હતી અને છ મહિનામાં તેનો ચુકાદો મળે તેવી ધારણા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર તેની સામેના આક્ષેપો સાબિત થાય કે ન થાય તો પણ બશીર ગણનાપાત્ર રકમ મેળવી છૂટો થઈ જશે. બશીર ખુલ્લી કોર્ટમાં એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં જાય તે કોઈ પસંદ કરશે નહિ.

• બોરિસ જ્હોન્સનને ‘જોકર’ ગણાવતી નોંધોઃ

પૂર્વ ફોરેન ઓફિસ ડેપ્યુટી સર એલન ડન્કનની ડાયરીની નોંધોમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનો ઉલ્લેખ ‘રાજદ્વારી કૌશલ્ય વિનાના જોકર’ તરીકે કરવામાં આવ્યો છે. સર ડન્કન લખે છે કે વડા પ્રધાન નિયમિત હેડલાઈન્સને રાજકીય સત્તા ગણવાની ભૂલ કરે છે. ૧૯૯૨થી ગત ચૂંટણી સુધી રુટલેન્ડ એન્ડ મેલ્ટોનના સાંસદ રહેલા સર એલન ડન્કને પોતાની ડાયરીઓની નોંધોને ‘The Thick of It’  નામે પુસ્તક સ્વરુપ આપ્યું છે. આ નોંધોમાં બ્રેક્ઝિટ અને જ્હોન્સનના ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશના વર્ષોને આવરી લેવાયા હતા. સર ડન્કન લખે છે કે ‘વડા પ્રધાન જોકર, સ્વકેન્દ્રી અહંકાર, ક્ષોભજનક વિદૂષક, ગૂંચવાયેલા મગજ અને શૂન્યથી પણ નીચે રાજદ્વારી વિવેકબુદ્ધિ ધરાવવા ઉપરાંત, આપણી પ્રતિષ્ઠા પર આંતરરાષ્ટ્રીય ડાઘ સમાન છે.’ જ્હોન્સન ફોરેન સેક્રેટરી હતા ત્યારે સર ડન્કન ફોરેન ઓપિસમાં તેમના ડેપ્યુટી હતા. જ્હોન્સને જુલાઈ ૨૦૧૮માં સેક્રેટરીપદેથી રાજીનામું આપ્યા પછી ડન્કને લખ્યું હતું કે,‘ ડ્રગ્સના બંધાણીને કોકેઈન જોઈએ તેમ જ્હોન્સનને પબ્લિસિટી જોઈતી હતી.

• વૃદ્ધ ડ્રાઈવર્સ પર પ્રતિબંધો આવશેઃ

ખરાબ આરોગ્ય ધરાવતા ૭૦ વર્ષથી વધુ વયના મોટરિસ્ટ્સ રાત્રે અથવા તેમના નિવાસથી ૩૦ માઈલથી વધુ અંતર સુધી વાહન ચલાવી શકશે નહિ. ડ્રાઈવર એન્ડ વ્હીકલ લાઈસન્સિંગ ઓથોરિટી એન્ડ ડ્રાઈવિંગ મોબિલિટી દ્વારા વયોવૃદ્ધ વાહનચાલકોએ પોતાની કાર પર ટ્રેકર્સ રાખવા સહિત દરખાસ્તોની વિચારણા થઈ રહી છે. ડેટા અનુસાર ગત ૨૫ વર્ષોમાં બ્રિટિશ માર્ગો પર ૭૦થી વધુ વયના ડ્રાઈવર્સની સંખ્યા બમણી થઈ છે. હાલ યુકેમાં ૭૦ અને તેથી વધુ વયના ૫,૫૨૫, ૪૫૨ ડ્રાઈવર્સ છે. વાહનચાલક ૭૦ વર્ષના થવા સાથે તેમના ડ્રાઈવિંગ લાઈસન્સ આપમેળે રદ થા૪ય છે ૭૦ વર્ષની વય પછી જેમણે માર્ગો પર વાહન હંકારવું હોય તેમણે DVLAનો સંપર્ક કરવો પડે છે. ગ્રેજ્યુએટેડ ડ્રાઈવિંગ લાઈસન્સનો અર્થ એ છે કે આરોગ્યની સમસ્યા ધરાવતા વૃદ્ધ વાહનચાલકોએ તેમના ઘરથી ૩૦ માઈલના અંતરમાં જ રહેવું પડશે.

• બ્રિટિશ વસાહતીઓએ સ્પેન છોડવું પડશેઃ

સેંકડો બ્રિટિશ વસાહતીઓએ બ્રેક્ઝિટ નિયમોના પગલે સ્પેન છોડવું પડે તેવો ભય ઉભો થયો છે. સ્પેનના ટેક્સીસ તેમજ અન્ય ફાળા નહિ ચૂકવવા બદલ પોલીસની નજર હેઠળ આવેલા લોકોને દેશનિકાલ કરવાની વાતો ચાલી રહી છે. યુકે સરકારના જણાવ્યા અનુસાર સ્પેને આવા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ, એમ પણ કહેવાયું છે કે જે લોકોને રેસિડેન્સી નહિ અપાય તેઓને સ્પેનમાં રહેવા દરમિયાન અપીલનો અધિકાર મળશે. ફોરેન ઓફિસે જણાવ્યું છે કે થોડાં લોકોને નિયમોમાં ફેરફારની અસર થશે તે સિવાય યુકેના નાગરિકોનો સ્પેનમાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાને કાયદા થકી રક્ષણ અપાયેલું છે. જે લોકોએ રેસિડેન્ટ સ્ટેટસ માટે અરજી કરી નથી તેમણે ૯૦ દિવસના કાનૂની રહેવાસના દરજ્જો રદ થવા સાથે સ્પેન છોડવાનું રહેશે. મોટા ભાગના ઈયુ દેશોમાં બ્રિટિશરો દર ૧૮૦ દિવસમાંથી ૯૦ દિવસ પરમિટ વિના રહી શકે છે. આશરે ૩૦૦,૦૦૦ બ્રિટિશ નાગરિકો સ્પેનમાં કાયમી રહેવાસીઓ તરીકે રજિસ્ટર્ડ છે.

• કેરી સિમોન્ડ્સની વાઈલ્ડલાઈફ ચેરિટી સામે તપાસઃ

વડા પ્રધાન જ્હોન્સનની ફીઆન્સી કેરી સિમોન્ડ્સ જે વાઈલ્ડલાઈફ ચેરિટી એસ્પિનાલ ફાઉન્ડેશનમાં હેડ ઓફ કોમ્યુનિકેશન્સ છે તેની સામે સરકારી વોચડોગ દ્વારા તપાસ હાથ ધરાવાની છે. રેગ્યુલેટર ચેરિટી કમિશને જણાવ્યું છે કે ગત ઉનાળામાં એસ્પિનાલ ફાઉન્ડેશનની તપાસ હાથ ધરાયા પછી ચેરિટીના વહીવટ અને નાણાકીય સંચાલન વિશે તેને ગંભીર ચિંતા થઈ છે. આ બિનનફાકારી સંસ્થા કેન્ટમાં કેટલાક વાઈલ્ડલાઈફ પાર્ક્સ ચલાવે છે અને વિશ્વભરમાં જોખમ હેઠળની પ્રાણી જાતિઓને બચાવવાનું કાર્ય પણ કરે છે. આ તપાસમાં મુખ્યત્વે ત્રણ બાબતો- વહીવટ, સંચાલન તેમજ હિતોના ચોક્કસ ટકરાવ સંદર્ભે ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલી કામગીરી સહિત ચેરિટીના મેનેજમેન્ટનો સમાવેશ કરાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter