લંડનઃ બ્રિટનસ્થિત ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત દરમિયાન વેપારીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે ટૂંકા ગાળાના વિઝા માટે કરારની શક્યતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત બ્રિટન પાસેથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ માટે શોર્ટ ટર્મ વિઝાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે,‘મોટી સંખ્યામાં પ્રવાસીઓ યુરોપ જાય છે પરંતુ વિઝાના પ્રતિબંધના કારણે પાછા ફરી જાય છે. મને આશા છે કે કેટલીક ચોક્કસ બાબતો બનશે.’
પટનાઈકે વધુમાં કહ્યું હતું કે,‘મને આશા છે કે બ્રિટન ભારતના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ટૂંકા ગાળાના વિઝા અંગે કરાર કરશે અને આ કેટેગરી માઈગ્રેશન યાદીમાં ના આવે.’
મેની ભારતની મુલાકાત ભારત માટે ખૂબ મહત્ત્વની છે તેની નોંધ કરી તેમણે કહ્યું હતું કે મેની આ પહેલી જ દ્વિપક્ષી મુલાકાત છે અને યુરોપ ખંડની બહાર ભારત જ તેમની પહેલી પસંદ છે. ભારત અને બ્રિટનના સંબંધો ખૂબ સારા છે. બ્રિટિશ વડા પ્રધાનની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે, જેમાં તેઓ ૧૬૦ સભ્યોના વિશાળ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બ્રેકિઝટ પરિબળ પછી વેપારી પ્રતિનિધિમંડળ ખૂબ જરૂરી છે. બ્રેક્ઝિટ પછી બ્રિટનને યુરોપિયન સંઘ બહાર વેપાર વધારવાની જરૂર છે. તેમની વચ્ચેની ચર્ચામાં બ્રેક્ઝિટ પછી વેપાર કરારનો મુદ્દો હશે એમ તેમણે કહ્યું હતું.