લંડનઃ ગયા રવિવારે લંડનથી ભારતના બેંગાલુરૂ પહોંચેલી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર ફ્લાઇટને સુરક્ષાની ચકાસણી માટે શા માટે સ્થગિત કરવામાં આવી તે અંગેની સ્પષ્ટતા બ્રિટનની એવિએશન ઓથોરિટીએ એર ઇન્ડિયા પાસે માગી છે.
યુકે સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઇન્ડિયાને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે એક સપ્તાહમાં સંપુર્ણ વિગતો સાથેનો જવાબ રજૂ કરવામાં નહીં આવે તો એર ઇન્ડિયા અને તેના બોઇંગ 787 વિમાની કાફલા સામે રેગ્યુલેટરી એક્શન લેવામાં આવી શકે છે.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ફ્યુઅલ સ્વિચોનું સાવચેતી માટે રિ-ઇન્સ્પેક્શન કર્યું છે અને અમને તેમાં કોઇ ખામી જણાઇ નથી. અમે યુકેના રેગ્યુલેટરને જવાબ મોકલી આપીશું. યુકેના રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, એક રેગ્યુલેટર તરીકે વિગતો માગવી એક નિર્ધારિત પ્રક્રિયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં પણ ફ્યુઅલ સ્વિચ વિવાદના કેન્દ્રમાં રહી હતી. આ દુર્ઘટનામાં 260 મોત થયાં હતાં. ફ્યુઅલ સ્વિચનું કાર્ય વિમાનના એન્જિનને મળતા ઇંધણના પૂરવઠાને નિયંત્રિત કરવાનું છે.


