જૂનાગઢઃ લંડનમાં વસતા કચ્છી બાઇસિકલ ગ્રુપ ‘મેડ ટુડે’નાં ૨૦ યુવાનો તથા ૧૦ યુવતીઓ જૂનાગઢથી ભુજ સુધીની સાઇકલ મેરેથોનમાં જોડાયાં હતાં. આ મેરેથોનનો પ્રારંભ બીજી માર્ચે સ્વામીનારાયણ મંદિર જૂનાગઢથી થયો હતો. આ યાત્રામાં એકઠાં થયેલા આશરે રૂ. ૯૦ લાખ જૂનાગઢના અનાથ આશ્રમમાં અનાથ બાળકોની મદદ અને પરવરિશ માટે અપાશે. આ સાઇકલ મેરેથોનનો હેતુ જૂનાગઢના આશ્રમમાં રહેતી અનાથ બાળાઓને મદદરૂપ થવાનો હતો.
આ મેરેથોનમાં એક લાખ પાઉન્ડ એટલે કે આશરે રૂ. ૯૦ લાખ એકઠા કરવાનો લક્ષ્યાંક હતો. યુકેના ‘ઇનરજોય ફાઉન્ડેશન’ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મેરેથોનમાં બિઝનેસમેન, એડવોકેટ, અનેક કંપનીના સીઈઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા યુકેના રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. આ સાયકલ મેરેથોન સાથે સાથે યુકેના ગ્રુપે જૂનાગઢમાં હોળી પણ મનાવી હતી. મેરેથનનું સમાપન ચોથી માર્ચે ભૂજ સ્વામીનારાયણ મંદિરે થયું ત્યાં સુધીમાં એક લાખ પાઉન્ડ એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ પાર પડ્યો હતો.