લંડનઃ યુકેમાં કોરોના વાઈરસથી વધુ ૬૩૯ના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક ૨૧,૭૩૧ અને ચેપગ્રસ્તોની સંખ્યા ૧૫૭,૦૦૦થી વધુ થયેલ છે. જોકે, હોસ્પિટલ બહારના આંકડાની ગણતરી અનુસાર બ્રિટનનો સાચો મૃત્યુઆંક ૫૫ ટકા વધુ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં, બોરિસ સરકાર લોકડાઉન હળવું કરવા તરફ સક્રિય વિચારણા કરી રહી છે. બીજી તરફ, Ipsos MORI ના પોલમાં જણાવાયું છે કે બે તૃતીઆંશથી વધુ લોકોએ કોરોના વાઈરસ મહામારી સંપૂર્ણ અંકુશમાં ન આવે ત્યાં સુધી લોકડાઉન યથાવત રાખવાની તરફેણ કરી છે.
Ipsos MORI દ્વારા ૧૬ અને ૧૯ એપ્રિલના ગાળામાં ૧૪ દેશમાં લોકડાઉન વિશે ૨૮,૦૦૦ લોકોનો અભિપ્રાય મેળવાયો હતો. યુકેમાં ૭૦ ટકા મતદારોએ જણાવ્યું હતું કે જીવલેણ રોગચાળા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવાય નહિ ત્યાં સુધી દેશમાં લોકડાઉન રાખવું હિતાવહ છે. રોગચાળાના ફેલાવાનો સામનો કરી રહેલા અન્ય ૧૩ મુખ્ય અર્થતંત્રોની સરખામણીએ યુકેમાં નિયંત્રણોની તરફેણમાં વધુ સમર્થન રહ્યું હતું. યુકે અને કેનેડાના ૭૦ ટકા, તે પછી મેક્સિકોના ૬૫ ટકા, સ્પેન અને ઓસ્ટ્રેલિયાના ૬૧ ટકા અને યુએસમાં ૫૯ ટકા અને ભારતમાં ૫૦ ટકા લોકોએ લોકડાઉન ચાલુ રાખવા તરફેણ કરી હતી. લોકડાઉન ખોલી નાખવાની તરફેણ ચીન, રશિયામાં વધુ કરી છે. જર્મની અને ફ્રાન્સમાં બંને ટકાવારી લગભગ સરખી છે.
મૃત્યુના કયા આંકડા સાચા ગણવા?
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસથી ૩૧ લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે અને ૨,૧૪,૦૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે યુકેમાં સાચા મૃત્યુઆંકનો વિવાદ સર્જાયો છે. વધુ ૬૩૯ મોતની જાહેરાત સાથે મંગળવારે સત્તાવાર મૃત્યુઆંક ૨૧,૭૩૧ થયો છે. NHS ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે ઈંગ્લેન્ડમાં વધુ ૫૫૨, સ્કોટલેન્ડમાં ૭૦ અને વેલ્સમાં ૧૭ મોત નોંધાયા હતા અને નોર્ધર્ન આયર્લેન્ડના આંકડા જાહેર કરાયા નથી. જોકે, એક આઘાતજનક રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા દૈનિક અપડેટ્સ જાહેર કરાય છે તેના કરતાં મૃત્યુઆંક ૫૫ ટકા વધુ હોઈ શકે છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના કડામાં હોસ્પિટલ બહારના કોરોના મોતનો સમાવેશ કરાતો નથી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા સાપ્તાહિક આંકડા જમાવે છે કે ૧૭ એપ્રિલ સુધીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક ૨૨,૩૫૧ હતો. આ આંકડા હેલ્થ વિભાગની ૧૪,૪૫૧ મોતની ગણતરી કરતાં ઘણા વધુ છે. જો, આ ૫૪.૬ ટકાનો વધારો યુકેના કુલ કન્ફર્મ મૃત્યુઆંક ૨૧,૭૩૧ને લાગુ કરવામાં આવે તો સાચો મૃત્યુઆંક ૩૩,૬૦૦ની આસપાસ હોઈ શકે છે.
ONS ડેટા દર સપ્તાહે જારી કરવામાં આવે છે અને તેમાં હોસ્પિટલ્સની બહાર કેટલા લોકોના મોત થયાં તે પણ દર્શાવાય છે. તે અનુસાર ૧૭ એપ્રિલ સુધીમાં કેર હોમ્સના ૩,૦૯૬ લોકો કોવિડ-૧૯થી મોત પામ્યા હતા. આ સપ્તાહ અગાઉ, ૧૦૪૩ મોત થયા હતા અને સપ્તાહ દરમિયાન ૨,૦૦૦થી વધુ મોત થયા હતા.