લંડનઃ યુકે સરકારે તેના સત્તાવાર કોરોના વાઈરસ મૃત્યુની સરખામણીના આંકમાંથી ચીનને દૂર કરી દીધું છે. ચીન દ્વારા તેનો મૃત્યુઆંક માત્ર ૪,૬૩૬ દર્શાવાયો છે તે માત્ર ઢાંકપિછોડો હોવા વિશે તેમજ વૈશ્વિક રોષના પગલે આ પગલું લેવાયું છે. જ્યાં કોરોના વાઈરસ રોગચાળાનો ઉદ્ભવ થયો હતો તેવા ચીનનો દાવો છે કે કોવિડ-૧૯ના માત્ર ૮૩,૯૦૧ કેસ થયા છે અને મૃતાંક ૪,૬૩૬ છે. બીજી તરફ, ખુદ વુહાનના લોકો માને છે કે તેમના શહેરમાં મૃત્યુઆંક ૩,૧૮૨ નહિ પરંતુ, ૪૨,૦૦૦ છે.
ડાઉનિંગ સ્ટ્રીટે કોરોના વાઈરસના ફેલાવા અને મૃત્યુ સંદર્ભે અન્ય દેશો સાથે સરખામણી કરાય છે તે દેશોની યાદીમાંથી ચીનને હટાવી દીધું છે. ચીને દેખીકી રીતે કોરોના વાઈરસ રોગચાળાની ગંભીરતા પર ઢાંકપિછોડો કર્યો હોવા બાબતે સમગ્ર વિશ્વમાં રોષ ફેલાયો છે. બીજી તરફ, વાઈરસના લીધે ચીનમાં માત્ર ૪,૬૩૬ મોત થયાનો દાવો કોઈ માની રહ્યું નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મળીને રોગચાળાની ગંભીરતા પર પડદો નાખ્યાનો આક્ષેપ પણ લગાવ્યો છે. પ્રમુખ ટ્રમ્પે તો WHOને ૫૦૦ મિલિયન ડોલરનું ભંડોળ સસ્પેન્ડ કરી દીધું છે. કોરોના રોગચાળાની શરૂઆત થઈ હતી તે ૧૧ મિલિયનની વસ્તી ધરાવતા વુહાન સિટીના લોકો પણ કહે છે કે તેમને ત્યાં ૩,૧૮૨ નહિ પરંતુ, ૪૨,૦૦૦ મૃત્યુ થયાં છે.
સામ્યવાદી ચીનની શી જિનપિંગ સરકારે ભારે ઢીલાશ રાખી કોવિડ-૧૯ને સમગ્ર વિશ્વમાં ફેલાવા દીધો હોવા બાબતે અમેરિકા સતત આક્ષેપો કરતું રહ્યું છે અને વિશ્વના અન્ય દેશો પણ તેની સાથે જોડાઈ રહ્યા છે. અમેરિકન જાસૂસી એજન્સીઓનો દાવો છે કે વુહાન નજીકની લેબોરેટરીમાંથી વાઈરસ છટક્યો હતો. ચીને પોતાની પ્રજાને છ દિવસમાં અંધારામાં રાખ્યા પછી વાઈરસની ચેતવણી જાહેર કરી હતી. ૧૪ જાન્યુઆરીથી આ છ દિવસના ગાળામાં વુહાનના રહેવાસીઓએ હજારો લોકો માટે બેન્ક્વેટ યોજ્યા હતા અને નવા વર્ષની ઉજવણી માટે હજારો લોકોએ પ્રવાસ શરૂ કરી દીધો હતો. આખરે જિનપિંગે ૨૦ જાન્યુઆરીએ લોકોને વાઈરસ વિશે ચેતવણી આપી હતી.
યુકે સરકાર ચીન સહિત નવ દેશોની યાદીમાં કોરોના કેસીસ અને મૃત્યુ સાથે આંકડાકીય સરખામણી કરતી હતી. યુએસ, ઈટાલી અને સ્પેનની સરખામણીએ ચીનના આંકડા ઘણા જ ઓછાં હતાં. હોંગ કોંગ યુનિવર્સિટીના નિષ્ણાતોનો અભ્યાસ સૂચવે છે તેમ જે દેશમાં વાઈરસ ઉદ્ભવ્યો હોય ત્યાંના આંકડા ઘણા ઊંચા હોવા જોઈએ.