લંડનઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના ૩૭,૨૭,૦૦૦થી વધુ કેસ અને ૨,૫૮,૦૦૦થી વધુ મૃત્યુઆંકની સામે યુકેમાં ૧૯૫,૦૦૦ કેસ અને ૨૯,૦૦૦થી વધુ મૃત્યુઆંક છે. સમગ્ર વિશ્વમાં કેસ અને મૃત્યુઆંક વધતા જ રહ્યા છે પરંતુ, કોરોના મહામારી સંદર્ભે લાદેલું લોકડાઉન હળવું કરવાની દિશામાં આગળ વધી શકાય તે માટે બોરિસ સરકારના મિનિસ્ટર્સ અર્થતંત્રના સાત સેક્ટર માટે ચોક્કસ નિયંત્રણો સાથે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. આ પહેલા સાત એપ્રિલે લોકડાઉનની સમીક્ષા થવાની છે. જોકે, તમામ નિયંત્રણો છથી ૧૨ મહિનાના લાંબા સમય સુધી અમલમાં રહેશે તેમ પણ જણાય છે. લાખો કર્મચારી ઓફિસીસમાં કામે વળગી શકે તે પહેલા એમ્પ્લોયર્સે કેન્ટીન્સ અને કોમ્યુનલ એરિયાઝ બંધ કરવા ખાસ સાવધાની રાખવી પડશે અને સ્ટાફને પેક્ડ લંચ ખાવા જણાવાશે. લોકોને કામના એક જ સ્થળે એક સાથે એકત્ર થતાં નિવારવા તેમજ ટ્રાફિક પર દબાણ ન આવે તે માટે તબક્કાવાર શિફ્ટ પેટર્ન લાગુ કરવાનું જણાવાશે. આમ છતાં, શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને અચોક્કસ મુદત સુધી ઘેર રહીને કામ કરવાની સલાહનો સમાવેશ મુસદ્દારુપ દસ્તાવેજમાં કરાયો છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટ અને રેલવે યુનિયનો કામદારોને કામે નહિ ચડવા દેવાની ધમકી આપી રહ્યા છે.
યુકેમાં લોકડાઉનની ૭ મે ગુરુવારે સમીક્ષા થવાની છે ત્યારે વધુ ત્રણ સપ્તાહ માટે લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે. આ પછી વડા પ્રધાન જ્હોન્સન વીકએન્ડમાં બ્રિટનને ફરી ચાલતું કરવા સઘન યોજનાની રુપરેખા જાહેર કરશે. વડા પ્રધાને એક વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે નિયંત્રણો દૂર કરવાનું તબક્કાવાર રહેશે. તેમણે કહ્યું હતું કે આપણે સૌથી ખરાબ બાબત ઝડપથી નિયંત્રણો ઉઠાવી લેવાની અને કોરોના વાઈરસની બીજી ટોચને આવવા દઈએ તે કરી શકીએ છીએ.
શિયાળા પછી નિયંત્રણો ધીમે ધીમે ઘટાડાશે
સન અખબારના અહેવાલ અનુસાર શિયાળા પછી નિયંત્રણોને ધીમે ધીમે ઘટાડવામાં આવશે તેમ બિઝનેસીસને જમાવી દેવાયું છે. સરકારી મેડિકલ એડવાઈઝર્સ એવો મત ધરાવે છે કે કોરોના વાઈરસ સીઝનલ છે તેના પરિણામે એક વર્ષ સુધી નિયંત્રણો હેઠળ રહેવાની સલાહ અપાઈ છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રે જણાવ્યું હતું કે જો કોરોના સિયાળા સુધી રહેશે તો આ પગલાં વધુ લાંબો સમય ચલાવવા પડશે. બીજી તરફ, હેલ્થ સેક્રેટરી હેનકોકે મેદસ્વી, વંશીય લઘુમતી પુરુષ-સ્ત્રીઓ સહિતના ચોક્કસ જૂથોમાં કોરોના વાઈરસથી મોતની શક્યતા શા માટે વધુ છે તે શોધી કાઢવા અધિકારીઓને આદેશ કર્યો છે.
રજૂ કરાનારા અન્ય પગલાંમાં ક્લિનર્સ, રસોઈયાઓ અને પ્લમ્બર્સ સહિત ઘરમાં કામકાજ કરતા વર્કર્સ તેમજ ફિટનેસ ટ્રેઈનર્સ જેવા સેવા આપતા લોકો માટે સલામતી માર્ગદર્શનનો સમાવેશ થાય છે. કંપનીઓએ શક્ય હોય ત્યાં સુધી એક ઘર માટે અગાઉ કામ કરતા કલીનર્સની જ સેવા આપવાની થશે અને ડિલિવરી કંપનીઓએ ઘરનો ડોરબેલ વગાડવાના બદલે રહેવાસીઓને ફોન કરવાનો રહેશે ટેક્સી ડ્રાઈવર્સ શક્ય હોય ત્યાં સુધી સંપર્કવિહીન પેમેન્ટનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરાશે. દરમિયાન, હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ ખોલવામાં આવે ત્યારે લાંબી લાઈનો થતી રોકવા રીટેઈલર્સ દ્વારા ગ્રાહકોને એકલાં જ ખરીદી કરવાનું જણાવાશે. જોકે, પબ્સ અને ટેઈકઅવે સેવા આપનારા સિવાયના રેસ્ટોરાંમાં જવા મળે તેવા કોઈ ચિહ્નો જણાતા નથી.
ટ્રેડ યુનિયનોનો વિરોધ મોટો અવરોધ
મિનિસ્ટર્સની બ્લુપ્રિન્ટ કોરોના વાઈરસ કટોકટીના ‘બીજા તબક્કા’ માટેની દરખાસ્તો ધરાવે છે, જેની જાહેરાત વડા પ્રધાન બોરિસ આ વીકએન્ડ પર કરવાના છે. સરકારી સૂત્રો અનુસાર લોકડાઉનના કારણે અર્થતંત્રને દરરોજ બે બિલિયન પાઉન્ડનું નુકસાન જાય છે. જોકે, લોકડાઉન હળવું કરવાનો માર્ગ સરળ નથી. ટ્રેડ યુનિયનોનો વિરોધ બ્રિટનને ફરી કામે ચડવામાં અવરોધ બની શકે છે. કર્મચારી યુનિયનો સ્ટાફની સલામતીની ગેરન્ટી ન અપાય તો તેમને કામે નહિ ચડવા દેવાની ધમકી આપી રહ્યા છે. આ સ્થિતિમાં ટ્રાન્સપોર્ટ યુનિયનોએ કહ્યું છે કે ડ્રાઈવર્સ ટ્રેન અને બસસેવા ચાલુ કરવા ઈનકાર કરી શકે છે. વડા પ્રધાનને સંયુક્ત પત્રમાં મુખ્ય ત્રણ રેલવે યુનિયનોએ જણાવ્યું હતું કે રેલવે વર્કર્સ અને પેસેન્જરોની જિંદગીને જોખમમાં મૂકતી નવી વર્કિંગ પેટર્ન્સ અમે સ્વીકારીશું નહિ. અત્યારની પરિસ્થિતિમાં રેલસેવા વધારવી તદ્દન અસ્વીકાર્ય છે.
બીજી તરફ, બિઝનેસીસના વડાઓ સાવચેતી સાથે આગળ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્લાનમાં વાસ્તવિકતા દેખાતી નથી અને સ્ટાફને કયા પ્રકારના સુરક્ષા ઉપકરણો જોઈશે તેના વિશે કોઈ માહિતીનો અભાવ છે. સરકારની યોજના હેઠળ પાંચથી વધુ કર્મચારી ધરાવતી તમામ પેઢીએ કામકાજની સ્થિતિથી જોખમનું વિગતવાર મૂલ્યાંકન કરવાનું રહેશે.
વધુપડતું વજન વાઈરસથી મોતના ગંભીર જોખમને નોંતરે
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું છે કે વધુપડતું વજન નોંધપાત્ર પરિબળ હોવા વિશે કહેવું હજુ વહેલું છે પરંતુ, વિશ્વભરનો ડેટા આવી લિન્ક હોવાનું સૂચવે છે.યુનિવર્સિટી ઓફ લિવરપૂલના સંશોધકોએ ગત સપ્તાહે ચેતવણી આપી હતી કે સ્થૂળતાના લીધે વાઈરસથી મોતના જોખમમાં ૩૭ ટકા વધારો થયો હતો. ઈંગ્લેન્ડમાં ૧૦માંથી આશરે ત્રણ વયસ્કો ૩૦થી વધુ બોડી માસ ઈન્ડેક્સ સાથે ક્લિનિકલી સ્થૂળ ગણાય છે, સમગ્ર પશ્ચિમી વિશ્વમાં આ દર સૌથી ઊંચો છે.
વાઈરસના કારણે બ્રિટનમાં કુલ મૃત્યુ ૨૮,૫૦૦થી વધી ગયા છે જે, યુરોપીય દેશોમાં ઈટાલી પછી બીજા ક્રમે છે. વિજ્ઞાનીઓ માને છે કે વધારે પડતી ચરબીથી કોષોને થતાં નુકસાનના સમારકામમાં જ ઈમ્યુનિટી સિસ્ટમ્સ નબળી પડી જતી હોવાથી સ્થૂળ પેશન્ટ્સને ગંભીર કોમ્પ્લિકેશન્સ થવાનું જોખમ વધી જાય છે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આપણી જાણ મુજબ આ વાઈરસ રોજ વૃદ્ધિ પામે છે અને કેટલાક જૂથોને અન્યોની સરખામણીએ વધુ ચેપ લગાવે છે. વિશ્વમાંથી પ્રાપ્ત ડેટા મુજબ વ્યક્તિઓ પર કોવિડ-૧૯ની અસર અને ઓબેસિટી વચ્ચે સંબંધની શક્યતા છે. જોકે, તે ચોક્કસ પરિબળ હોવાનું કહેવું હાલ વહેલું છે.
ઓફિસીસમાં કેન્ટિનો બંધ, સ્ટાફ પેક્ડ લંચ ખાશે, શિફ્ટની વ્યવસ્થા જેવાં નિયંત્રણો
યુકેના અર્થતંત્રને વધુ નુકસાન ન થાય તેવા હેતુસર લાખો બ્રિટિશરો ટુંક સમયમાં કામે વળગી જવાના છે પરંતુ, સામાન્ય સામાજિક જીવન બદલાઈ જશે. સામાજિક સંપર્કો પર કઠોર નિયંત્રણો રખાશે જ તેમ સરકારી બ્લુપ્રિન્ટ જણાવે છે. મિનિસ્ટર્સ સપ્કતાહના અંતે અર્થતંત્રના સાત સેક્ટર માટે ‘બેક-ટુ-વર્ક’ દસ્તાવેજો ઘડી રહ્યા છે જેમાં, કર્મચારીઓ ઓફિસીસમાં કામે આવે ત્યારે એમ્પ્લોયર્સે કેવા પગલાંનું અનુસરણ કરવાનું રહેશે તેના નિયમોનો સમાવેશ પણ થાય છે. સરકારે ઔદ્યોગિક સમૂહોને ચેતવણી આપી દીધી છે કે નિયંત્રણો આગામી છથી ૧૨ મહિના સુધી જાળવી રખાશે. આમ, ઝડપથી સામાન્ય જીવન તરફ જવાની આશા પર પાણી ફરી વળ્યું છે
જોકે, આ દસ્તાવેજોના મુસદ્દા સ્પષ્ટ કરે છે કે નજીકના ભવિષ્યમાં સામાન્ય જીવન જોવાં મળશે નહિ અને નિયંત્રણો એક વર્ષ સુધી તો અમલમાં રહેશે.
• એમ્પ્લોયર્સને કેન્ટિન્સ તેમજ અન્ય સામુદાયિક વિસ્તારો બંધ કરવા જણાવાશે અને સ્ટાફને પોતાના પેક્ડ લંચ ખાવા પ્રોત્સાહન અપાશે.
• કર્મચારીઓ એક જ સમયે કામના સ્થળે એકત્ર ન થાય તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર એકસાથે દબાણ ન આવે તે માટે શિફ્ટ જેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ફોટોકોપીઅર્સ જેવી સામુદાયિક સુવિધાનો ઉપયોગ મર્યાદિત બનાવી દેવાશે, લોકો વચ્ચે બે મીટરનું અંતર જળવાય તે રીતે ફ્લોર્સ પર ટેપિંગ કરવાનું રહેશે. લોકોને એકબીજા સામે બેસવા નહિ દેવાય.
• હોટ ડેસ્કિંગ પર પ્રતિબંધ લાગી જશે અને વાઈરસનો ચેપ ફેલાય નહિ તે માટે વર્કર્સને એકબીજાને પેન જેવી વસ્તુઓ પણ આપવા નહિ દેવાય.
• આ કઠોર નિયંત્રણોના પગલે લાખો કર્મચારીને શક્ય હોય ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઘેર રહીને જ કામ કરવા જણાવાશે.
• ફર્મ્સ અને કંપનીઓને જણાવી દેવાયું છે કે જો સંબંધિત લોકો માટે નવી ભૂમિકા-કાર્ય ઉભું કરવું પડે તો પણ ૭૦થી વધુ વયના લોકો, સગર્ભા મહિલાઓ, અતિશય મેદસ્વીઓ સહિત અસલામત જૂથના લોકોએ ઘરમાંથી જ કામ કરવાનું રહેશે.