લંડનઃ એર ઇન્ડિયા ક્રેશનો ભોગ બનેલા બ્રિટિશ પ્રવાસીઓના પરિવારજનોએ સ્ટાર્મર સરકાર પર ભારતમાં અપુરતી, ધીમી ગતિથી સહાય કરવાનો આરોપ લગાવ્યો છે. નાનાબાવા પરિવારે ક્રેશ બાદ ગુજરાતના અમદાવાદ પહોંચેલા પરિવારના સભ્યો સાથેનો સંપર્ક સુધારવા અપીલ કરી છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારા પરિજનોના મૃતદેહની ઓળખ થઇ ગઇ હોવા છતાં 72 કલાકની ટાઇમફ્રેમ બાદ પણ મૃતદેહ સોંપાયા નહોતા. અમને અમદાવાદમાં હોસ્પિટલ ખાતે મેડિકલ કે ફોરેન્સિક સહાય મેળવવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પુરતી માહિતી મળતી નહોતી અને યુકેનો કોઇ પ્રતિનિધિ, મેડિકલ ટીમ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહોતી. હોસ્પિટલથી 20 મિનિટના અંતરે આવેલી હોટેલમાં બ્રિટિશ કોન્સ્યુલેટ સ્ટાફને મળવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. યુકેની સરકારે જાણે કે અમને તરછોડી દીધાં હોય તેવી લાગણી થતી હતી. ઘણા પીડિત પરિવારો દ્વારા આ પ્રકારની ફરિયાદો કરવામાં આવી હતી.