લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે જો ચીન પૂર્વ બ્રિટિશ સંસ્થાન હોંગ કોંગમાં માનવ અધિકારોનો ભંગ કરતું રહે તેવી પરિસ્થિતિમાં યુકે હોંગકોંગના બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટ ધરાવતા લગભગ ૩૦ લાખ નાગરિકો માટે વિઝામુક્ત શરણ આપવા તૈયાર છે. તેમણે હોંગ કોંગમાં સૂચિત નવા નેશનલ સિક્યુરિટી કાયદાને વખોડતા કહ્યું હતું કે આનાથી હોંગ કોંગની સ્વાયત્તતાનું ધોવાણ થશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ બ્રિટિશ કોલોની હોંગ કોંગને કરાર હેઠળ ૧૯૯૭માં ચીનને સોંપાયું હતું.
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે ચીન દ્વારા હોંગ કોંગમાં માનવાધિકારોનું ધોવાણ કરાશે અને યુકે સાથેની સમજૂતીની શરતોનો ભંગ થશે તો હોંગ કોંગના ૩૦ લાખ લોકોને બ્રિટનમાં શરણ આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહિ. આ માટે બ્રિટિશ ઈતિહાસમાં વિઝા સિસ્ટમમાં સૌથી મોટાં પરિવર્તનની તૈયારી છે. સંસ્થાનવાદના વારસા તરીકે હોંગ કોંગના આશરે ૩૫૦,૦૦૦ નાગરિકો પાસે બ્રિટિશ નેશનલ ઓવરસીઝ પાસપોર્ટ છે અને વધુ ૨.૫ મિલિયન લોકો તેના માટે અરજી કરવા પાત્ર હોવાનું જ્હોન્સને પોતાની કોલમમાં લખ્યું હતું. ચીન દ્વારા નવા કાયદાની જાહેરાત પછી હજારો લોકોએ પોતાના પાસપોર્ટને રિન્યુ કરાવવા અથવા નવી અરજી કરવા લાંબી લાઈનો લગાવી હતી.
BNO પાસપોર્ટ વિઝા વિના છ મહિના સુધી યુકેમાં આવવાની છૂટ આપે છે પરંતુ, તેમાં વસવાટ કે કામ કરવાના અધિકાર મળતા નથી. વડા પ્રધાને જણાવ્યું હતું કે જો ચીન તેનો નેશનલ સિક્યુરિટી કાયદો લાદશે તો બ્રિટિશ સરકાર ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરશે અને હોંગ કોંગના આ પાસપોર્ટધારકોને યુકેમાં ૧૨ મહિના સુધી આવવાની છૂટ આપશે, તેમનો સમય રીન્યુ થઈ શકશે તેમજ કામકાજના હક સહિત વધુ ઈમિગ્રેશન અધિકારો પણ અપાશે, જે તેમને નાગરિકતાના માર્ગ સુધી લઈ જશે. જો જરૂર લાગશે તો બ્રિટિશ સરકાર નક્કર ઈચ્છા સાથે આ કદમ ઉઠાવશે જે, બ્રિટિશ ઈતિહાસમાં વિઝા સિસ્ટમમાં સૌથી મોટા ફેરફારોમાં એક બની રહેશે.