લંડનઃ યુકે દ્વારા કોરોના વાઈરસ ટેસ્ટિંગ ઘટાડી દેવા સામે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચિંતા વ્યક્ત કરવા સાથે ચેતવણી પણ આપી છે. WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડરોસ આધાનોમ ઘેબ્રેસ્યસે જણાવ્યું છે કે દરેક દેશે કોરોના વાઈરસના તમામ કેસનું પરીક્ષણ કરવું જોઈએ. બોરિસ સરકારે તીવ્ર લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીનું પરીક્ષણ કરવાના આદેશ આપ્યા છે. WHOના વડાએ કહ્યું છે કે દરેક કેસની સારવારમાં નિષ્ફળતા સાથે યુકે ‘વિનાશકારી ભૂલ’ કરી રહ્યું છે. ‘Doctors for the NHS’ કેમ્પેઈન જૂથના બ્રિટિશ ડોક્ટરોએ પણ કોરોના વાઈરસના શંકાસ્પદ અસરગ્રસ્તોના પરીક્ષણો વધારવા સરકારને હાકલ કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડરોસે કોરોના વાઈરસ મહામારી વિરુદ્ધ બોરિસ જ્હોન્સનના પ્રતિભાવની ઝાટકણી કાઢી છે. યુકે સરકારે ‘વિલંબ’ના તબક્કામાં સ્વીકાર્યું છે કે લાખો લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગી શકે છે. NHS ઈંગ્લેન્ડ દ્વારા તેની પરીક્ષણ ક્ષમતાઓમાં વધારાની જાહેરાત કરાઈ છે જેનાથી તે દિવસમાં ૧૦,૦૦૦ પરીક્ષણ કરી શકે તેમ છે પરંતુ, સરકાર હવે પરીક્ષણોની પ્રાથમિકતા ન હોવાનું સ્વીકારે છે. જેઓને લક્ષણો જણાય તેમણે ૧૪ દિવસ અલાયદા રહેવાની સલાહ સાથે માત્ર ગંભીર લક્ષણો સાથેના દર્દીનું જ પરીક્ષણ કરાશે તેમ સરકારે કહ્યું છે.
જોકે, WHOના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે,‘ વાઈરસ ક્યાં છે તે જાણ્યા વિના તેની સામે કેવી રીતે લડી શકશો. કોવિડ-૧૯ના ચેપની ચેઈનને તોડવા દરેક કેસ શોધો, અલગ રાખો અને દરેકની સારવાર કરો. આપણે જેટલા કેસ શોધી સારવાર કરીશું તેનાથી રોગનો ફેલાવો મર્યાદિત થશે. આપણે આગને ભભૂકવા દેવી ન જોઈએ. જે દેશ અન્ય દેશોના અનુભવને જોવાં છતાં એમ વિચારે કે ‘આવું આપણી સાથે નહિ થાય’ તો તે ભયંકર ભૂલ કરે છે.’
WHOના ડાયરેક્ટર જનરલ ડો. ઘેબ્રેસ્યસે એમ પણ જણાવ્યું છે કે હવે યુરોપ કોરોના મહામારીનું કેન્દ્ર બની ગયું છે.