લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે બે વર્ષના વર્ક વિઝા આપવાની જાહેરાત બોરિસ જ્હોન્સન સરકારે કરી છે. આ પગલાંથી ભારતીય સહિતના વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. બ્રિટનમાં સ્નાતક કે અનુસ્નાતકનો કોર્સ કર્યા પછી વિદેશી વિદ્યાર્થીઓને ત્યાં બે વર્ષ નોકરી કરવાની પરવાનગી આપવામાં આવશે. હાલમાં બ્રિટનની ગ્રેજ્યુએટ અથવા માસ્ટર ડિગ્રી સાથેના વિદેશી વિદ્યાર્થીઓને નોકરી શોધવા માત્ર ચાર મહિનાનો અને ડોક્ટરેટ વિદ્યાર્થીઓ માટે એક વર્ષનો સમય અપાય છે. આગામી વર્ષ ૨૦૨૦-૨૧થી તમામ વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ નોકરી કરવાને લાયક ગણાશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન અને તત્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મેએ એપ્રિલ ૨૦૧૨માં પોસ્ટ સ્ટડી વર્કવિઝાની યોજના બંધ કરી દીધી હતી, જેની સીધી અસર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર પડી હતી.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે આ નવી નીતિથી પ્રતિભાશાળી વિદેશી વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને અભ્યાસ પછી બહુમૂલ્ય અનુભવ મળી શકે છે અને પોતાની કારકીર્દિને આગળ વધારી શકશે. બ્રિટને પોતાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પૂર્ણ થયા પછી બે વર્ષ સુધી નોકરી કરી શકાય તેવી નવી વિઝા પોલીસીની જાહેરાત કરી છે. આ જાહેરાતને યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવાની દિશામાં મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. નવી પોલિસી હેઠળ વિઝાની સંખ્યાકીય મર્યાદા નહિ રહે અને વિદ્યાર્થીઓની કુશળતા કે તેમના વિષયોને ધ્યાનમાં લીધા વિના તેમને નોકરીઓ માટે અરજી કરવાની છૂટ મળશે. નવી વિઝાનીતિને ૧૩૦ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી યુનિવર્સિટીઝ યુકે દ્વારા વધાવી લેવાઈ હતી. ગયા વર્ષે યુનિવર્સિટીઝ યુકે દ્વારા ઈયુ સિવાયના ૪૬૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. સરકાર આગામી દસ વર્ષમાં આ આંકડો ૬૦૦,૦૦૦ સુધી લઈ જવા માગે છે.
એક માન્યતા અનુસાર બ્રેક્ઝિટને પગલે ઈયુ વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં મુક્તપણે નોકરીઓ મેળવવી મુશ્કેલ બની રહેશે. તેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષી તેમની સંખ્યા વધારવા બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની પોલિસી જાહેર કરાઈ છે, જે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે. ભારતીય વિદ્યાર્થીઓને તેનાથી નોંધપાત્ર લાભ મળશે. તેઓ નોકરી અથવા પોતાની પસંદગીનું કાર્ય કરી શકશે. બ્રિટિશ સરકારે હવે પોતાના વર્ષ ૨૦૧૨ના નિર્ણયને બદલ્યો છે.
યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૨ ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવાયો છે. યુકેમાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા ત્રણ વર્ષમાં લગભગ બમણી થઈ છે અને ૨૦૧૧ પછી સૌથી વધુ છે. ૨૦૧૨માં તત્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મેએ વિદેશી વિદ્યાર્થીઓ માટે આકર્ષણરુપ બે વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા નાબૂદ કરતા બ્રિટન ભારતીય સહિતના વિદેશી વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર ન હોવાનો સંકેત ગયો હતો. પરિણામે, બ્રિટન આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૫ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૦-૧૧માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧,૨૧૮ હતી જે ૨૦૧૧-૧૨માં ઘટીને ૨૨,૭૫૭ તેમજ ૨૦૧૭-૧૮માં વધુ ઘટીને ૧૫,૩૮૮ થઈ હતી. ઉલ્લેખનીય છે કે અરજી કરનારા ૯૬ ટકા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળી જાય છે.
સેલ્ફ ફાયનાન્સિંગ રાહે અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓમાં પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા ખૂબ જ લોકપ્રિય છે. અગાઉ, ભારતીય વિદ્યાર્થીઓ બે વર્ષના સમયનો ઉપયોગ નોકરી શોધીને અભ્યાસ પાછળના ખર્ચને સરભર કરવા પ્રયાસ કરતા હતા. જોકે, તત્કાલીન સરકારના માનવા મુજબ વર્ક વિઝા ખૂબ ઉદાર હતા. આ પ્રકારના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની જોગવાઈ રદ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી બોગસ કોલેજોને પણ બંધ કરી હતી.
તાજેતરમાં જ યુનિવર્સિટીઝ મિનિસ્ટર તરીકે રાજીનામું આપનારા જો જ્હોન્સને પોસ્ટ સ્ટડી વિઝા લંબાવવાની તરફેણ કરી હતી અને તેમણે ઈમિગ્રેશન બિલમાં બે વર્ષના વર્ક વિઝાનો સુધારો પણ મૂક્યો હતો. અગાઉ, બ્રિટિશ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઇ નિયંત્રણો નથી. બ્રિટનના પ્રયત્નો છે કે વિદેશી વિદ્યાર્થીઓમાં બ્રિટિશ યુનિવર્સિટીઓ અને કોલેજોની લોકપ્રિયતા જળવાઈ રહે તે માટે વર્ક વિઝાનો સમય વધારવામાં આવશે.