લંડનઃ યુકેના વિમાનીમથકોએ આવનારા પ્રવાસીઓ તેમજ ખાસ ફ્લાઈટ્સથી સ્વદેશ પરત ફરતા અટવાયેલા લોકો સહિત તમામ માટે બે સપ્તાહનું ક્વોરેન્ટાઈન ફરજિયાત કરાયું છે. કોરોના મહામારી છતાં, હીથ્રો સહિતના એરપોર્ટ્સ પર દરરોજ આવી રહેલા ૧૫,૦૦૦ જેટલા પેસેન્જર્સનું કોઈ પરીક્ષણ કરાતું ન હોવાની ફરિયાદો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. મહામારી દરમિયાન કડક સરહદી નિયમનો માટે દબાણ વધી રહ્યું છે.
મિનિસ્ટર્સ અને એરપોર્ટ્સ સત્તાવાળા વચ્ચે સંમતિ સધાઈ હતી કે આવનારા લોકો તેમના ક્વોરેન્ટાઈનનો ભંગ કરતા નથી તેની ચોકસાઈ માટે રજિસ્ટર્ડ સરનામાઓની મુલાકાત પણ લઈ શકાશે. કોરોના વાઈરસ એક્ટ હેઠળની સત્તાના ઉપયોગથી આવા લોકોને ભારે દંડ કરી શકાશે અથવા કાનૂની કાર્યવાહી પણ કરી શકાશે. ઈમર્જન્સી કાયદો ઈમિગ્રેશન અધિકારીઓને સંભવિત ચેપગ્રસ્ત વ્યક્તિઓને તપાસ અને પરીક્ષણ માટે યોગ્ય સ્થળે લઈ જઈ શકે છે તેમજ જાહેર આરોગ્ય માટે તેમની હેરફેર નિયંત્રિત બનાવી શકે છે. નવા પગલાંને પ્રવાસીઓ યુકેમાં આવશે તો તેમની સાથે વ્યવહારની ચેતવણી દર્શાવતું વૈશ્વિક અભિયાન પણ હાથ ધરાનાર છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સિંગાપોર સ્ટાઈલના કડક અભિગમથી યુકે દેશમાં પ્રવેશતા ટ્રાવેલર્સની સંખ્યા અને તેમના દ્વારા જોખમને તેમજ રોગચાળાની નવી ટોચની શક્યતા ઘટાડી શકશે. દેશમાં આગમન સાથે જ ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનનો અમલ ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, જર્મની અને ગ્રીસ સહિત અનેક દેશોમાં કરાય છે. હોંગ કોંગ અને જાપાને જાન્યુઆરીની મધ્યથી જ દેશમાં આવનારા તમામ માટે કોવિડ-૧૯ ટેસ્ટ ફરજિયાત કર્યા હતા. પોઝિટિવ પ્રવાસીને તત્કાળ હોસ્પિટલ અને નેગેટિવ પ્રવાસીને એકાંતવાસમાં મૂકાતા હતા. ૧૩૦થી વધુ દેશોએ હાઈ રિસ્ક વિસ્તારોમાંથી આવતા લોકો માટે કોઈ પ્રકારના પ્રવાસ નિયંત્રણો, પ્રતિબંધો તેમજ ક્વોરેન્ટાઈન નિયમો અમલી બનાવ્યા છે. દુનિયાની ૯૦ ટકા વસ્તી એવા દેશોમાં રહે છે જ્યાં વિદેશથી આવતા બિનનાગરિકો અને બિનરહેવાસીઓ પર પ્રતિબંધો લાગેલા છે. બીજી તરફ, કોઈ પણ જાતની તપાસ વિના દેશમાં પ્રવેશ આપવા બદલ બ્રિટન સતત ટીકાને પાત્ર બન્યું છે.