યુકેમાં આવનારા માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન આવશ્યકઃ પ્રીતિ પટેલ

Saturday 13th June 2020 02:12 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વિદેશથી પરત આવનારા બ્રિટિશ નાગરિકો સહિત યુકે આવનારાઓ માટે ૧૪ દિવસના સેલ્ફ-ક્વોરેન્ટાઈનના નિયમનો ભારપૂર્વક બચાવ કરતા તે લોકોનું જીવન બચાવવા માટે આવશ્યક હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આનાથી ટુરિઝમ બિઝનેસને ભારે મુશ્કેલી પડશે પરંતુ, ઓછું ઈન્ફેક્શન ધરાવતા દેશો માટે ક્વોરેન્ટાઈનમુક્ત ‘ટ્રાવેલ કોરિડોર્સ’ યોજના ચકાસાઈ રહી હોવાનું પણ કહ્યું હતું. આ નિયમ ૮ જૂનથી અમલી બની રહ્યો છે અને તેની સમીક્ષા ત્રણ સપ્તાહ પછી જ કરાશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુકેમાં આવનારા બ્રિટિશરો સહિત તમામ માટે ૮ જૂનથી અમલી કરી રહેલા ૧૪ દિવસના ફરજિયાત સેલ્ફ ક્વોરેન્ટાઈનને આવશ્યક ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે યુકેમાં ફરી સંક્રમણનો પ્રવેશ ન થાય અને લોકોનું જીવન બચાવવા માટે આ પોલિસી જરુરી છે. જોકે, આ યોજનાનો ટુરિઝમ બિઝનેસ અને સાંસદોએ ભારે વિરોધ કરી જણાવ્યું હતું કે આનાથી પ્રવાસન ઉદ્યોગ તદ્દન ભાંગી પડશે. બીજી તરફ, મિનિસ્ટર્સ બ્રિટિશરો ઉનાળુ વેકેશન માણી શકે તે માટે આગામી મહિનાથી ક્વોરેન્ટાઈનમુક્ત ‘ટ્રાવેલ કોરિડોર્સ’નો વિચાર કરી રહ્યા છે.

૧૪ દિવસના ફરજિયાત સેલ્ફ ક્વોરેન્ટાઈન નિયમમાં લોરી ડ્રાઈવર્સ અને વર્કર્સનો મર્યાદિત અપવાદ રખાયો છે. આ સિવાય વિમાન, રેલવે અને સમુદ્રમાર્ગે આવનારા તમામ લોકોને તેઓ જ્યાં એકાંતવાસ સેવવાના હોય તે સરનામા આપવા જણાવાશે. પોલીસ અધિકારીઓ ગમે ત્યારે ત્યાં ચેકિંગ કરી શકશે. તેમને અન્ય કોઈ સ્થળોએ જવા દેવાશે નહિ અને નિયમભંગ કરનારાને ૧૦૦૦ પાઉન્ડ સુધીના દંડની પણ જોગવાઈ છે.

હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે અત્યારે માત્ર આવશ્યક પ્રવાસ જ કરી શકાશે પરંતુ, સરકાર અને સેક્ટર સાથે મળીને સલામત પ્રવાસના વિકલ્પો શોધવાનું ચાલુ રાખશે. કોઈ આંતરરાષ્ટ્રીય વિકલ્પ દ્વિપક્ષી રહેશે અને સંબંધિત દેશ સાથે સમજૂતી કરાશે. આપણે જોવાનું છે કે તે દેશો પણ જવા માટે સુરક્ષિત હોય. નવા ડેટા અનુસાર બ્રિટિશરો માટે રજા ગાળવાના સૌથી લોકપ્રિય ૧૫ દેશોમાં યુકે કરતાં ઓછો ઈન્ફેક્શન રેટ છે. દરમિયાન, ત્રણ સપ્તાહ પછી થનારી ક્વોરેન્ટાઈનની સમીક્ષાના ધોરણોમાં આંતરરાષ્ટ્રીય ઈન્ફેક્શન રેટ્સ, અન્ય દેશોએ મૂકેલા નિયંત્રણો તેમજ એન્ટિબોડી અથવા અન્ય પરીક્ષણ પદ્ધતિઓથી આરોગ્યના જોખમને હળવું કરી શકાય છે કે કેમ તેનો સમાવેશ થાય છે.

બિઝનેસીસ અને કન્ઝર્વેટિવ સાંસદોના વિરોધ છતાં, હોમ સેક્રેટરીને પ્રોત્સાહન આપે તેવા એક પોલમાં જનતાએ આ નિયંત્રણોને જોરદાર સપોર્ટ આપ્યો છે. YouGovના અભ્યાસમાં જણાયું છે કે ૬૩ ટકા લોકો આ નિયમના વ્યાપક ઉપયોગની તરફેણ કરે છે જ્યારે, ૨૪ ટકાએ જણાવ્યું છે કે જે દેશોમાં ઈન્ફેક્શનના ઊંચા દર હોય તેમના માટે જ આ નિયમ લાગુ કરાવો જોઈએ. માત્ર ૪ ટકાએ ક્વોરેન્ટાઈન રાખવાની આવશ્યકતા નહિ હોવાનું જણાવ્યું છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter