લંડન : બ્રિટનમાં ખૂબ ઝડપથી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. સંશોધન પ્રમાણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં અનુયાયીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં ૨૦ લાખ અનુયાયી ઓછા થયા છે જ્યારે ઇસ્લામ ધર્મ માનનારાઓની સંખ્યામાં ૧૦ લાખનો વધારો થયો છે.
નેટસનનાં નાઓમી જોન્સનાં જણાવ્યા મુજબ ૧૯૮૩માં ઇસ્લામ ધર્મમાં માનનારાની કુલ સંખ્યા ફકત ૦.૬ ટકા હતી તે ૨૦૧૪માં વધીને પાંચ ટકા થઈ છે. બ્રિટનમાં છેલ્લા ૩૦ વર્ષમાં કેથોલિક્સ ધર્મમાં માનનારાની સંખ્યા લગભગ યથાવત છે.
જૂની પેઢીનાં અંતની સાથોસાથ નાસ્તિકોની સંખ્યા વધી રહી છે. નવી પેઢીનાં લોકોની આસ્થામાં ઘટાડો થઈ રહ્યો છે. મોટા ભાગના લોકો પોતાનો કોઈ ધર્મ નહિ હોવાનું જણાવતા થયા છે. અલબત્ત, ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં અનુયાયીઓની સંખ્યામાં જ શા માટે ઘટાડો થઈ રહ્યો છે તેનાં કારણો સ્પષ્ટ થતા નથી પણ કેથોલિક અને ખ્રિસ્તી સમુદાય સિવાયનાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં અનુયાયીઓની સંખ્યા ઘટી રહી હોવાનું મનાય છે.