લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદે મોટો ઇમિગ્રેશન સુધારો અમલી બનાવતા યુકે આવતા માઇગ્રન્ટ્સને અપાતો કાયમી રેફ્યુજીનો દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે યુકેમાં રેફ્યુજી સ્ટેટસ ફક્ત હંગામી ધોરણે જ જારી કરાશે. તેમણે જણાવ્યું હતું કે, નિરાશ્રિતોને કાયમી સંરક્ષણ આપવાની બ્રિટનની દાયકાઓ જૂની નીતિ બંધ કરવામાં આવી છે અને તેનો અમલ તાત્કાલિક થશે. માહમૂદનું માનવું છે કે આ પગલાથી યુકે આવતા માઇગ્રન્ટ્સના ધસારાને ખાળી શકાશે.
હવે સોમવારથી યુકેમાં પ્રવેશનારા માઇગ્રન્ટ્સને ફક્ત હંગામી રેફ્યુજી સ્ટેટસ અપાશે. તેના સ્ટેટસની દર 30 મહિને સમીક્ષા કરાશે અને જો તેનો વતનનો દેશ સુરક્ષિત જણાશે તો તેને તેના દેશમાં પરત જવું પડશે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટનના રેફ્યુજી કાયદામાં આ સૌથી મોટો સુધારો કરાયો છે. માહમૂદ આ સપ્તાહમાં અસાયલમ કાયદાઓમાં પણ શ્રેણીબદ્ધ સુધારાની જાહેરાત કરશે.


