લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ બ્લડ પ્લાઝમા સારવારની ટ્રાયલ શરુ કરી દેવાઈ છે. જો પરીક્ષણો સફળ નીવડશે તો દર સપ્તાહે ૫,૦૦૦ પેશન્ટને બ્લડ પ્લાઝમા સારવાર આપવાની યોજના છે. પ્લાઝમા સારવારમાં કોરોના વાઈરસ સામે જંગમાં સાજા થયેલા પેશન્ટ્સના લોહીમાંથી પ્લાઝમા અલગ તારવી સંક્રમિત દર્દીઓને આપવાનો સમાવેશ થાય છે. આ સારવારની સફળતા સામે ચેતવણી તો અપાઈ છે પરંતુ, અમેરિકામાં એક દર્દી આ સારવારથી સાજો થયો હોવાનું મનાય છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું છે કે નવી સારવારથી પ્રતિ સપ્તાહ ૫,૦૦૦ દર્દીની મદદ કરી શકાશે.
બ્રિટિશ સરકારે કોરોના વાઈરસ બ્લડ પ્લાઝમા સારવારની ટ્રાયલ શરુ કરી દીધી છે. કોરોના વાઈરસથી સાજા થયેલા દર્દીના શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થયા હોય છે. આવા દર્દી દ્વારા દાન કરાયેલા લોહીમાંથી પ્લાઝમા અલગ તારવી વાઈરસ સામે લડી રહેલા દર્દીને ચડાવી તેમના શરીરમાં પણ એન્ટિબોડીઝ પેદા કરવાની આ સારવાર છે. સરકાર દ્વારા પ્લાઝમાનો સંગ્રહ કરવાનું વધારી દેવાયું છે જેથી ટ્રાયલ સફળ થાય તો NHS દ્વારા સારવારમાં તેનો ઉપયોગ કરી શકાય. સાર્સ રોગચાળામાં પણ આ સારવારનો સફળ ઉપયોગ કરાયો હતો.
NHS બ્લડ અન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસથી સાજા થયેલા દર્દીઓનો સંપર્ક કરશે અને પ્લાઝમા દાન આપી શકે તે માટે પૂછપરછ કરશે. પ્લાઝમા મેળવવાની ૪૫ મિનિટની પ્રક્રિયા છે, જેમાં એક હાથમાંથી લોહી લેવાય છે અને તેને પ્લાઝમા અલગ તારવતા મશીનમાંથી પસાર કરાય છે. આ પછી લોહી રક્તદાતાને પાછું ચડાવી દેવાય છે.