લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ રોગચાળાથી વાસ્તવિક મૃત્યુદર NHSના આંકડા કરતાં ૨૪ ટકા ઊંચો હોઈ શકે તેમ સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે. ONSની નવી ડેટા સીરિઝમાં કોવિડ-૧૯ના લીધે કેર હોમ્સ કે પોતાના ઘરમાં જ અથવા કોમ્યુનિટીમાં પ્રસાર પછી મૃત્યુ થયું હોય તેમની સંખ્યા ઉમેરાઈ છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦ માર્ચ સુધી જેમના મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું કારણ કોવિડ-૧૯ લખાયું હોય તેમની સંખ્યા ૨૧૦ હતી, જે વાસ્તવમાં ૨૪ ટકા ઊંચો છે કારણકે આ જ સમયગાળામાં NHSઈંગ્લેન્ડ અને પબ્લિક હેલ્થ વેલ્સ દ્વારા ૧૭૦ મૃત્યુ જ નોંધવામાં આવ્યા હતા. જો આ રેશિયો અત્યાર સુધી સાચો હોય તો સત્તાવાર મૃતાંક ૧૪૦૮ના બદલે અંદાજે ૧૭૩૯ જેટલો હોવો જોઈતો હતો.
ONS દ્વારા નવી ડેટા સીરિઝનો આરંભ કરાયો છે જેમાં કોવિડ-૧૯ના લીધે કેર હોમ્સ કે પોતાના ઘરમાં જ અથવા કોમ્યુનિટીમાં પ્રસાર પછી મૃત્યુ થયું હોય તેવા લોકોની સંખ્યા ઉમેરવામાં આવી છે. પ્રત્યેક પેશન્ટના મોતનું કારણ કોરોના વાઈરસ હોય તે નિશ્ચિત નથી પરંતુ, તે એક પરિબળ હોઈ શકે છે. માર્ચ ૨૦ સુધીના ડેટામાં સ્કોટલેન્ડ કે નોર્ધર્ન આયર્લેન્ડનો સમાવેશ કરાયો નથી. આ વિસ્તારોમાં આઠનાં (સ્કોટલેન્ડમાં છ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બે) મોત થયા હતા. સાચી સંખ્યા ૧૦ હોઈ શકે તેમ સૂચવાયું છે.