યુકેમાં કોરોનાની ત્રીજી લહેરઃ લોકટોળાંના લીધે નવીસવી ‘આઝાદી’ છીનવાઈ જવાનો ભય

Wednesday 21st July 2021 04:25 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૧૯ જાન્યુઆરીએ કોરોના લોકડાઉનના મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવાયા સાથે આઝાદી દિનની ઉજવણીઓ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બની રહી છે. છ મહિના પછી કેસની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. યુકેમા શનિવારે ૫૪,૬૭૪ લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ૭૪૦ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. અગાઉ ૧૫ જાન્યુઆરીએ બીજી લહેર દરમિયાન ૫૫,૫૫૩ કેસ નોંધાયા હતા. મહત્ત્વની બાબત એ છે કે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ પણ કોરોનાથી સંક્રમિત થયા પછી સેલ્ફ આઈસોલેશનમાં રહે છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકે પણ સેલ્ફ આઈસોલેશનમાં જવાની જાહેરાત કરવી પડી છે.

આરોગ્ય નિષ્ણાતોએ સપ્ટેમ્બરમાં યુકેમાં દૈનિક સરેરાશ ૬૮,૦૦૦થી ૧૦૦,૦૦૦ કોરોના કેસ નોંધાવાની આગાહી કરવા સાથે નિયંત્રણો હટાવવાના મામલે સરકારની આકરી ટીકા પણ કરી છે.

ફ્રાન્સથી પરત આવનારા માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન

સૌપહેલા સાઉથ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના બીટા વેરિએન્ટનો પ્રકોપ ફ્રાન્સમાં વધી રહ્યો હોવાથી ત્યાંથી પરત આવનારા બ્રિટિશ નાગરિકોએ વેક્સિનના ડબલ ડોઝ લીધાં હોય તો પણ તેમના માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવાયું છે. સરકારે જણાવ્યું હતું કે ફ્રાન્સમાં બીટા વેરિઅન્ટસના કેસીસની સંખ્યા દસ ટકા છે. બીટા વેરિઅન્ટ કોરોનાની રસીનો વધારે પ્રતિકાર કરતા હોવાથી ફ્રાન્સને અલગ રખાયું છે. હાલ બ્રિટનમાં બીટા વેરિઅન્ટના કેસની સંખ્યા એક ટકા કરતાં પણ ઓછી છે. ૧૯ જુલાઈથી યલો-એમ્બર લિસ્ટના દેશોમાંથી પરત આવતા તમામ બ્રિટિશરોએ ૧૦ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું નહિ પડે  તેવા નિયમમાંથી ફ્રાન્સને બાકાત રાખતી જોગવાઈ છેલ્લી ઘડીએ જાહેર કરાઈ હતી.આના પરિણામે, હજારો બ્રિટિશ પર્યટકોની રજા માણવાની યોજનાઓ ખોરંભે પડી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter