યુકેમાં તમામ કુશળ વર્કર્સમાં અડધા તો ભારતીયઃ સ્ટુડન્ટ વિઝા વધીને ૯૩ ટકા

Wednesday 04th March 2020 06:09 EST
 
 

લંડનઃ યુકેની નવી ઈમિગ્રેશન સિસ્ટમ અમલમાં આવી રહી છે ત્યારે તાજા જાહેર કરાયેલા ઈમિગ્રેશન આંકડા અનુસાર યુકેમાં તમામ કુશળ વર્કર્સમાં અડધાઅડધ તો ભારતીય નાગરિકો છે. ૫૭,૦૦૦થી વધુ ભારતીય નાગરિકોને ૨૦૧૯માં ટિયર -૨ સ્કીલ્ડ વર્ક વિઝા મળ્યા હતા, જે બાકીના વિશ્વના તમામને અપાયેલા સ્કીલ્ડ વર્ક વિઝા કરતાં ૫૦ ટકાથી વધુ છે. ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ યુકે ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટ એમ પણ જણાવે છે કે ૩૭,૫૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીને ૨૦૧૯માં ટિયર -૪ (સ્ટડી) વિઝા અપાયા હતા, જે તેની અગાઉનાં વર્ષની સરખામણીએ ૯૩ ટકા વધુ છે.

રજાઓમાં વિદેશ જનારા ભારતીયો માટે યુકે લોકપ્રિય સ્થળ છે. ગયા વર્ષે ૫૧૫,૦૦૦થી વધુ ભારતીયોએ વિઝિટર વિઝા મેળવ્યા હતા, જે તેની અગાઉના વર્ષ કરતાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. ૨૦૧૯માં યુકે વિઝા માટે અરજી કરનારા ૯૫ ટકા ભારતીય નાગરિકો સફળ રહ્યા હતા, જેની અગાઉના વર્ષની સરખામણીએ પાંચ ટકાનો વધારો છે.

ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સ અનુસાર ૩૭,૫૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીને ૨૦૧૯માં સ્ટડી વિઝા અપાયા હતા. ગત આઠ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓને અપાયેલા વિઝામાં આ સંખ્યા સૌથી વધુ છે અને ૨૦૧૬થી ભારતીય વિદ્યાર્થીઓને અપાયેલા વિઝામાં ઉત્તરોત્તર મજબૂત વધારો થતો રહ્યો છે. હાલ સ્ટુડન્ટ વિઝાના મામલે ભારતીયો સૌથી ઝડપે વધતી નાગરિકતા છે.

ભારતમાં કાર્યકારી હાઈ કમિશનર જાન થોમ્પસને ઝણાવ્યું હતું કે,‘ સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં જબરદસ્ત વધારો યુકેની વિશ્વમાં અગ્રેસર શિક્ષણ વ્યવસ્થા અને ભારતીય વિદ્યાર્થીઓની અસાધારણ પ્રતિભા, બંને માટે નોંધપાત્ર બાબત છે. સૌથી શ્રેષ્ઠ અને હોંશિયાર લોકો યુકેને પસંદ કરતા રહે છે અને બંને દેશો વચ્ચેના જીવંત સેતુને વધુ મજબૂત બનાવતા રહે છે તે ગૌરવની બાબત છે.’

બ્રિટિશ કાઉન્સિલના ઈન્ડિયા ડાયરેક્ટર બાર્બરા વિખામે જણાવ્યું હતું કે,‘આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ તેમજ કારકિર્દીઓને આગળ વધારવાના સ્થળ તરીકે યુકેનો વિશ્વાસ કરી રહ્યા છે તે રોમાંચક છે. ઝડપથી બદલાતાં વિશ્વમાં પોતાના જ્ઞાનની મહત્ત્વાકાંક્ષાને પ્રાપ્ત કરવામાં સતત ધ્યાન કેન્દ્રિત કરી રહેલા બંને દેશો માટે સારી વાત છે.’

આ આંકડા યુકે દ્વારા નવા ગ્રેજ્યુએટ રુટ (અભ્યાસ પછી યોગ્ય વિદ્યાર્થીઓને યુકેમાં બે વર્ષ રહેવાની છૂટ) તેમજ નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરાયા સહિતની શ્રેણીબદ્ધ વિઝા નીતિઓના પગલે જાહેર કરાયા છે. ગયા વર્ષે જાહેર કરાયેલો નવો ગ્રેજ્યુએટ રુટ ભારત સહિત યોગ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી કામ કરવા કે કામની શોધ માટે યુકેમાં બે વર્, રહેવાની પરવાનગી આપે છે. ગ્રેજ્યુએટ્સ યોગ્ય નોકરી શોધી લે તે પછી સ્કિલ્ડ વર્ક વિઝામાં બદલાવી શકે છે. આ યોજના ૨૦૨૧ના સમરથી ચાલુ કરાશે.

યુકે દ્વારા હાલમાં જ નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ લોન્ચ કરાઈ છે. નવી સિસ્ટમમાં યુરોપીય અને બિનયુરોપીય નાગરિકો સાથે સમાન વ્યવહાર કરાશે. વિજ્ઞાનીઓ, ઈનોવેટર્સ અને શિક્ષણવિદો સહિત જેઓ પાસે સૌથી વધુ કૌશલ્ય અને શ્રેષ્ઠ પ્રતિભા છે તેઓને પ્રાથમિકતા મળશે. નવી ઈમિગ્રેશન સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter