લંડનઃ કોરોના વાઈરસના વધતા ફેલાવાને ધ્યાનમાં રાખી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી બ્રિટનમાં તાળાબંધી જાહેર કરી છે. જોકે, તેમણે શાળાઓ બંધ કરવા ઈનકાર કર્યો છે. કોરોના કટોકટીમાં કોઈ કાર્યવાહી વિના મૃત્યુઆંક વધીને ૨૬૦,૦૦૦ થઈ શકે તેવી ચેતવણીના પગલે સરકારે નવા પગલાં જાહેર કર્યા છે. કોવિડ-૧૯ના ચેપના લક્ષણો ધરાવનારાને ઘરમાં જ રહેવાની ચેતવણી આપવા સાથે વડા પ્રધાને ત્રણ મહિના સુધી બિનજરૂરી પ્રવાસ તેમજ સામાજિક મેળમિલાપ ટાળવા લોકોને અપીલ કરી છે. તેમણે લંડનવાસીઓને વધુ સાવધાની રાખવા પણ જણાવ્યું છે. વૈશ્વિક અર્થતંત્રને ભારે ફટકો લાગવાની સંભાવના દર્શાવી વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર બિઝનેસીસ અને સ્ટાફને મદદ કરશે. લાખો વર્કર્સે ઘરમાં જ રહવાનું પસંદ કરતા લંડન અને અન્ય મોટાં શહેરો ભેંકાર જણાતા હતા. યુકેમાં કોરોના વાઈરસનો ચેપ વધી રહ્યો છે અને ૧૫૫૧ લોકોને ચેપ લાગ્યો છે તેજ ૫૫ લોકોના મોત નીપજ્યા છે.
કોરોના કટોકટી સંદર્ભે યુકે દ્વારા સક્રિય પગલાં ન લેવાતા હોવાની ભારે ટીકાઓ પછી વડા પ્રધાને યુકેમાં લગભગ તાળાબંધી જાહેર કરી દીધી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે સરકાર પાસે નોંધપાત્ર સત્તા છે પરંતુ, તેઓ ઉપયોગ કરવા માગતા નથી. આમ છતાં, જેઓ પરીક્ષણ કરાવવા ઈનકાર કરશે તેમને પોલીસ બળપૂર્વક ઘરમાં રહેવાની ફરજ પાડશે. લોકોએ બિનજરૂરી સંપર્ક ટાળવો જોઈએની ચેતવણીમાં શક્ય હોય તો દુકાનો, પબ્સ, ક્લબ્સ, સિનેમા, રેસ્ટોરાંની મુલાકાત ન લેવી તેમજ પ્રવાસ ટાળવાનો સમાવેશ થાય છે. જો ઘરમાં એક વ્યક્તિને પણ કોરોનાના લક્ષણો જણાય તો ઘરના તમામ સભ્યોને સેલ્ફ આઈસોલેશનમાં જવા જણાવાયું છે. મોટા જાહેર કાર્યક્રમોમાં ઈમર્જન્સી સર્વિસ નહિ અપાય તેનો અર્થ છે કે આવા કાર્યક્રમો રદ કરવા પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે યુકેમાં રોગચાળો ઝડપી વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી રહ્યો છે અને તેથી નિયંત્રણો ૧૨ સપ્તાહ સુધી અમલી રાખવા પડશે. વડા પ્રધાન સાથે પ્રેસ કોન્ફરન્સમાં ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હીટી અને ચીફ સાયન્ટિફિક એડવાઈઝર પેટ્રિક વોલેન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાઓ બંધ કરવા ઈનકાર
યુરોપમાં તાળાબંધી કરાઈ તેમાં શાળાઓ પણ બંધ કરવા આદેશ અપાયો છે. જોકે, વડા પ્રધાને શાળાઓ બંધ કરવાનું નકાર્યું છે. આનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થશે તેમ તેઓ માનતા હોવાનું જ્હોન્સને જણાવ્યું હતું. ન્યૂ યોર્કમાં તમામ બાર અને રેસ્ટોરાં રાતના આઠ કલાકે બંધ કરવાનો આદેશ અપાયો છે પરંતુ બ્રિટિશ બિઝનેસીસ અને નાગરિકો ગાઈડન્સનું પાલન કરશે તેવી આશા વડા પ્રધાને વ્યક્ત કરી હતી. તેમણે ૭૦થી વધુ વયના વૃદ્ધ લોકોને આગામી મહિનાઓમાં ઘરની બહાર નહિ નીકળવાની તૈયારી રાખવા પણ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ખાદ્યપદાર્થો કે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા ન જવાનો પણ સમાવેશ થાય છે. ધાર્મિક જૂથો પણ તેમના અનુયાયીઓને ધર્મસભાઓ મુલતવી રાખવા સલાહ આપી રહ્યા છે. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને મસ્જિદોને સેવાઓ બંધ રાખવા અપીલ કરી હતી.
લેબર સાંસદ કેટ ઓસ્બોર્ન પણ કોરોના પોઝિટિવ
લેબર બેકબેન્ચર કેટ ઓસ્બોર્ન પણ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. હેલ્થ મિનિસ્ટર નાદિન ડોરિસ પછી કોરોનાનો ચેપ ધરાવનાર તેઓ બીજાં સાંસદ છે. લેબર સાંસદે ટ્વીટર પર આ અંગે જાહેરાત કરી હતી. વધુ ૧૫ સાંસદોએ તેઓ સેલ્ફ આઈસોલેશનમાં હોવાની જાહેરાત કરી છે, જેમાં લેબર સાંસદ વિરેન્દ્ર શર્માનો પણ સમાવેશ થાય છે. પાર્લામેન્ટનું કામકાજ ઓછા રાજકારણીઓની હાજરી સાથે ચાલુ રહ્યું હતું. સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોરોના મહામારી સાથે કામ પાર પાડવા વધુ સત્તાઓ મેળવવા કોમન્સ ગૃહ ચાલુ રાખીને લેજિસ્લેશન પસાર કરાવવા ઈચ્છે છે.
ટ્રેનો ખાલી અને માર્ગો સૂમસામ
કોરોના વાઈરસના ગભરાટના કારણે રેલવેના પ્રવાસીઓમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો નોંધાવા સાથે ટ્રેનો ખાલી દોડી રહી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે સરકારની મર્યાદિત સલાહ છતાં લોકોએ જાતે જ સમજીવિચારી પગલાં લેવા માંડ્યા છે. આના પરિણામે, પ્રવાસી સેવા અને માર્ગો ખાલી દેખાવા લાગ્યા છે. ગત સપ્તાહે ટ્રેન પેસેન્જરના પ્રમાણમાં ૧૮થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમણે બીબીસી રેડિયો-૪ના ટુડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકાર આ સેવા ચાલુ રાખશે પરંતુ, ‘ઘોસ્ટ ટ્રેન્સ’ દોડાવવાનો કોઈ અર્થ નથી. બીજી તરફ, ટ્રાન્સપોર્ટ લંડન દ્વારા જણાવાયું હતું કે ગત વર્ષે પણ આ જ સમયગાળામાં પ્રવાસીઓમાં ૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સામાજિક સંપર્ક ટાળવામાં અપવાદ નહિ
વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે સામાજિક સંપર્ક ટાળવાની સલાહ સહુને લાગુ પડે છે. તેમાં કોઈ અપવાદ નથી. જો તમારે જરૂર લાગે તો અન્યોની મદદ લઈ શકો છો પરંતુ, ખાદ્યપદાર્થો કે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા પણ બહાર જવાનું ટાળશો. ૭૦થી વધુ વયના પાર્લામેન્ટેરિયનોએ પણ કોમન્સમાં હાજરી આપવા સહિત સામાજિક સંપર્ક ટાળવાની જરૂર રહેશે તેવા પ્રશ્નના ઉત્તરમાં જ્હોન્સને જણાવ્યું હતું કે તમે આ મુદ્દો તમામ માટે લઈ શકો છો. કોઈ અપવાદ નથી. કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે જણાવ્યું હતું કે ૭૦થી વધુ વયના તેમજ નાજૂક સ્વાસ્થ્ય ધરાવતા અને સગર્ભા હોય તેવા સાંસદો અને ઉમરાવોએ કોમ્યુનિટીમાં સામાજિક સંપર્કને ટાળવાની સલાહને ખાસ અનુસરવું જોઈએ.