લંડનઃ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુરની સફળ પૂર્ણાહૂતિ બાદ લંડનમાં ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય હાઇ કમિશન દ્વારા ભારતીય સમુદાયના લોકો માટે એક વિશેષ વિચારગોષ્ટિનું આયોજન કરાયું હતું. જેમાં યુકેમાં વસતા ભારતીય મૂળના લોકો અને વિદ્યાર્થીઓએ હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી અને દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
દોરાઇસ્વામીએ વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા, સુખાકારી અને હિતો માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ચર્ચામાં યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર મુખ્ય મુદ્દો રહ્યો હતો. દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, વેપાર કરાર બંને દેશ વચ્ચેના આર્થિક સંબંધને મજબૂત બનાવશે, નવી વેપાર મૂડીરોકાણ અને રોજગારીની તકોનું સર્જન કરશે.
તેમણે જણાવ્યું હતું કે, વેપાર કરારથી ભારતીય કંપનીઓ માટે યુકેના બજારો ખુલવાથી ભારતને લાભ થશે. તમામ સેક્ટરોમાં સંશોધનો અને સહકારને પ્રોત્સાહન મળશે.