લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ મહામારીના પગલે લદાયેલા લોકડાઉનને ઉઠાવવા કે હળવું કરવાની તીવ્ર માગણી મુદ્દે સક્રિય વિચારણા થઈ રહી છે ત્યારે યુકે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત કરાયેલા છ મહત્ત્વના માપદંડ ધ્યાને લેવાં આવશ્યક છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૩ માર્ચે બ્રિટિશરો માટે તાળાબંધીના કડક પગલાં જાહેર કર્યા હતા, જે ત્રીજી મે સુધી લંબાવાયા છે. યુકેમાં કોરોના મહામારીના કારણે મૃતાંક ૨૦,૦૦૦થી પણ વધ્યો છે.
લોકડાઉનના પરિણામે દેશમાં ખોરાકપાણી, દવાઓ અને અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો, રેસ્ટોરાં, મોજમજાની સુવિધાઓ બંધ થઈ છે તેમજ બિઝનીસીસ બંધ થવા સાથે કર્મચારીઓને પણ રજા પર ઉતારાયા છે. સામાજિક અંતર જાળવવાનું હોવાથી મિત્રો અને પરિવારો સાથે મેળમિલાપ પણ બંધ છે. લોકો આવશ્યક ચીજવસ્તુઓ લેવા તેમજ થોડીઘણી કસરતો કરવા માટે જ બહાર જઈ શકે છે.
WHO ના વડા ડો. ટેડરોસ ઘેબ્રેયેસસ કોવિડ-૧૯ ઘોડાવેગે આવ્યો છે પરંતુ, કીડીવેગે જશે આથી, નિયંત્રણો એક સાથે હટાવી શકાશે નહિ. તેમણે કહ્યું હતું કે સરકારો પોતાના દેશની સ્થિતિનું મૂલ્યાંકન કરી લોકોના આરોગ્યને પ્રાધાન્ય આપવા સાથે નિયંત્રણો હટાવવા કે હળવા કરવાનો નિર્ણય લેવો જોઈએ. વિશ્વસંસ્થાએ ખાસ કરીને ગરીબ દેશો તથા શ્રમિકોનો મોટો વર્ગ ધરાવે છે ત્યાં લોકોને ઘરોમાં રહેવાની ફરજ પાડવી અવ્યવહારુ ગણાવી છે.
WHOએ લોકડાઉન હટાવવા છ મુદ્દા રજૂ કર્યા છે જેમાં, • સંક્રમણ નિયંત્રિત કરવામાં આવે • સંક્રમણના દરેક કેસ શોધવા, પરીક્ષણો કરવા, આઈસોલેટ કરવા તથા સારવાર કરવા ઉપરાંત, દરેક સંપર્કને શોધવા સાથે આરોગ્ય વ્યવસ્થાની સંપૂર્ણ ક્ષમતા અમલી બનાવવી • આરોગ્ય સંબંધિત સુવિધાઓ તથા નર્સિંગ હોમ્સ જેવી ખાસ સવલતોમાં રોગચાળાનું જોખમ તદ્દન ઘટાડવું • લોકોએ જવું આવશ્યક હોય તેવાં કામકાજના સ્થળો, શાળાઓ તથા અન્ય સ્થળોએ સંક્રમણ અટકાવના કડક પગલાં અમલી બનાવવા • અન્ય સ્થળોએથી કોરોનાનાં સંક્રમણના જોખમોને યોગ્યપણે રીતે નિયંત્રિત કરવા • ‘નવા માપદંડો’ના પાલન અને તેમને અનુકૂળ થવા કોમ્યુનિટીઝને સંપૂર્ણ શિક્ષિત, માહિતગાર કરવાનો સમાવેશ થાય છે.