લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ લોકડાઉનને વધુ ત્રણ સપ્તાહ એટલે કે ૭ મે સુધી લંબાવાયું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ડેપ્યુટી અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જાહેર કર્યું હતું કે અર્થતંત્રને ભારે નુકસાન છતાં કોરોના વાઈરસ નિયંત્રણો અમલી રાખવા આવશ્યક છે. તેમણે લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ની માગણીઓ ફગાવી દીધી હતી. રાબે જણાવ્યું હતું કે જનતાના પ્રયાસો રંગ લાવી રહ્યા છે પરંતુ, કઠોર નિયંત્રણો હાલ હટાવી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે યુકેમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૧૨૪,૭૪૩ અને મૃતકોની સંખ્યા ૧૬,૫૦૯ થઈ છે.
રાબે કોબ્રા ગ્રૂપની બેઠક પછી જણાવ્યું હતું કે હોસ્પિટલો અને કેર હોમ્સમાં કોરોનાનો પ્રસાર હોવાં છતાં, રોગચાળો વિખેરાઈ જાય તેની સપાટી કરતા કોમ્યુનિટીમાં ટ્રાન્સમિશન ચોક્કસ ઓછું હોવાની વિજ્ઞાનીઓની સલાહ પછી સરકારે ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ લોકડાઉનના પગલાં અમલી રાખવા નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે સમગ્રતયા સંક્રમણનો દર ઘટ્યો નથી. અત્યારે લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાથી જાહેર આરોગ્ય અને અર્થતંત્રને વધુ નુકસાન પહોંચી શકે છે. સરકારના જ વોચડોગ દ્વારા GDP માં ૩૩ ટકા ઘટાડા અને ૨૦ લાખ લોકો નોકરીઓ ગુમાવશેની ચેતવણી અપાયા પછી સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ પગલામાંથી ‘બહાર નીકળવાની રણનીતિ’ ઘડે તે માટે દબાણ વધી રહ્યું છે. રાબે ૧૬ એપ્રિલ ગુરુવારે લોકડાઉન લંબાવવા જાહેરાત કરી ત્યારે કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધુ ૮૬૧ના મોત સાથે ૧૩,૭૨૯ના આંકે પહોંચી ગયો હતો. બ્રિટનમાં ૧૦૦,૦૦૦થી વધુ લોકો સંક્રમિત છે અને વિશ્વમાં સંક્રમિતોની સંખ્યામાં તે છઠ્ઠા ક્રમે છે.
લોકડાઉન હળવું કરી શકાય તે માટે પાંચ માપદંડ
ફોરેન સેક્રેટરીએ ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ની માગણીઓ ફગાવી લોકડાઉન હળવું કરવાની શરૂઆત થઈ શકે તે માટે પાંચ માપદંડ જાહેર કર્યા હતા. આ ધોરણોમાં, • NHS દ્વારા પૂરતી ક્રિટિકલ કેર આપી શકાવી જોઈએ તેની ચોકસાઈ • દૈનિક મૃત્યુદરમાં સતત જળવાય તેવો ઘટાડો • ઈન્ફેક્શનનો દર સંભાળી શકાય તેવી સપાટીએ પહોંચ્યો છે તે દર્શાવતો વિશ્વસનીય ડેટા • ભાવિ માગને પહોંચી વળવા પરીક્ષણ ક્ષમતા અને PPE નો પૂરવઠો તૈયાર હોય • NHSનું વ્યવસ્થાતંત્ર ભાંગી પડે તેવા બીજા ઊંચા શિખરનું જોખમ ન હોય, નો સમાવેશ થાય છે. રાબે કહ્યું હતું કે આ ધોરણો પાર પડશે ત્યારે સરકાર જાહેર આરોગ્યના અસરકારી રક્ષણ સાથે કેટલીક આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ પુનઃ શરૂ કરવા વિચારી શકે છે.
અગાઉ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે સ્પષ્ટ કર્યું હતું કે નિયંત્રણો કેવી રીતે હળવાં કરાશે તેની બ્લુપ્રિન્ટ જાહેર કરી પ્રજા પર વિશ્વાસ રાખી શકાય નહિ કારણકે તેઓ નિયંત્રણો હટાવી લેવાયા હોવાનું જ સમજશે. જોકે, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે કોરોના કટોકટી અર્થતંત્રને તહસનહસ કરી રહી છે ત્યારે રાજકારણીઓ કટોકટીમાંથી બહાર નીકળવા શું યોજના ઘડશે તે જાણવાનો લોકોને અધિકાર છે.