લંડનઃ યુકેમાં સ્થાયી થવાના મુદ્દે એક લગ્નજીવન ભંગિત થયું છે. ગુજરાત હાઇકોર્ટે કયા દેશમાં વસવાટ કરવો તે મુદ્દે સામસામે આવી ગયેલા દંપતીના છૂટાછેડાનો માર્ગ મોકળો કર્યો છે. વાત જાણે એમ છે કે પતિ યુકેમાં સ્થાયી થવા માગતો હતો જ્યારે તેની પત્નીને ભારત દેશ છોડીને જવું નહોતું. બસ આજ કારણ તેમના છૂટાછેટા માટે જવાબદાર બન્યું હતું. ફેમિલી કોર્ટ દ્વારા છૂટાછેડાની અરજીમાં કેટલાક વાંધા રજૂ કરાયા હતા પરંતુ હાઇકોર્ટે ફેમિલી કોર્ટને આ મામલામાં 6 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
આ દંપતીના લગ્ન 9 ડિસેમ્બર 2023ના રોજ થયાં હતાં પરંતુ એક જ મહિનામાં અલગ રહેવા લાગ્યાં હતાં. પતિ યુકેમાં વધુ અભ્યાસ માટે પહોંચ્યો હતો અને તેણે પત્નીને કહ્યું હતું કે તે કાયમ માટે યુકેમાં રહેવાની યોજના બનાવી રહ્યો છે. તેણે પત્નીને યુકેમાં આવીને રહેવા જણાવ્યું હતું પરંતુ પત્ની ભારત છોડીને જવા તૈયાર નહોતી. તેણે પતિને જણાવ્યું હતું કે, હું અમદાવાદમાં સ્થાયી છું અને ભારતમાં જ મારી કારકિર્દી આગળ વધારવા માગુ છું.
આ મામલામાં બંનેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર ન થતાં તેમનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું હતું.


