લંડનઃ અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાનો હિંસક પડઘો યુકેમાં પણ પડ્યો છે. બે સપ્તાહથી ચાલતા વિરોધ પ્રદર્શનોએ નવો વળાંક લીધો છે. રંગભેદ અને ગુલામોના વેપાર સાથે સંકળાયેલા લોકોના પૂતળાં હટાવી દેવાના મુદ્દે બે જૂથ પડી ગયા છે. બ્લેક લાઈવ્ઝ મેટર (BLM)ના સમર્થકોએ પૂર્વ વડા પ્રધાનો વિન્સ્ટન ચર્ચિલ અને સર રોબર્ટ પીલ તેમજ સેસિલ રહોડ્સ સહિત ૮૨ મહાનુભાવની પ્રતિમાઓ દૂર કરવા માગણી કરી છે, જેનો વિરોધ પણ થઈ રહ્યો છે. દરમિયાન, શનિવાર,૧૩ જૂને લંડનમાં પોલીસે કરફ્યુ લાદ્યો હોવાં છતાં, ટ્રફાલ્ગર અને પાર્લામેન્ટ સ્ક્વેર તથા ચેરિંગ ક્રોસ વિસ્તારોમાં અતિ જમણેરી બ્રિટન ફર્સ્ટ, ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL) જૂથો અને હુલિગન્સ તત્વોએ પોલીસ અને બ્લેક લાઈવ્ઝ મેટરના ટેકેદારો પર હુમલા કર્યા હતા. સ્મોક બોમ્બ્સ અને બોટલ્સ પણ ફેંકાઈ હતી. મેટ પોલીસે શનિવારની ઘટનાઓમાં શાંતિભંગ, હિંસા, શસ્ત્રો રાખવા સહિતના અપરાધો બદલ ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
જ્હોન્સન, પ્રીતિ પટેલે હિંસા વખોડી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ હુમલાને ‘રેસિસ્ટ ઠગરી’ (રંગભેદી ગુંડાગીરી) કહીને વખોડી કાઢ્યો હતો. વર્તમાન અશાંતિ સામે પ્રતિભાવ નહિ આપવા બદલ ટીકાઓથી ઘેરાયેલા વડા પ્રધાને તમામ દેખાવોને ટાળવા વિરોધીઓને અનુરોધ કર્યો હતો. તેમમે ટ્વિટર પર લખ્યું હતું કે,‘ રંગભેદી ગુંડાગીરીને આપણી શેરીઓમાં કોઈ સ્થાન નથી. પોલીસ પર હુમલો કરનારા કોઈને પણ કાયદાની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડશે. આ રેલીઓ અને દેખાવોને હિંસાએ હાઈજેક કરી લીધાં છે તેમજ વર્તમાન ગાઈડલાઈન્સનો ભંગ કરાય છે. યુકેમાં રેસિઝમની કોઈ જ ભૂમિકા નથી અને આપણે તેને વાસ્તવિકતા બનાવવા સાથે મળીને કામ કરવું જોઈએ.’ હોમ સેક્રેટરી પીતિ પટેલે પણ પૂતળાંતરફી દેખાવોનો દોર અતિ જમણેરી પરિબળોના હાથમાં ચાલી ગયાનું જણાવી પોલીસ સાથે અથડામણની ગુંડાગીરી અસ્વીકાર્ય હોવાની ટીકા કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દાવો કર્યો હતો કે તેમનું પ્રધાનમંડળ બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ વિવિધતાસભર છે અને બ્રિટનના બે સૌથી વરિષ્ઠ પ્રધાન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ચાન્સેલર રિશિ સુનાકે પણ બ્રિટનમાં ચાલી રહેલા અશ્વેત લોકોના આંદોલન અને રંગવાદ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. જ્હોન્સને સોશિયલ મીડિયામાં વીડિયો સ્ટેમેન્ટ જારી કરી કહ્યું હતું ‘યસ, બ્લેક લાઇવ્ઝ મેટર’.
વડા પ્રધાન જ્હોન્સને કોરોના વાઈરસના ચેપના પ્રસારનું જોખમ દર્શાવી લોકોને એકત્ર નહિ થવા અનુરોધ કર્યો હોવાં છતાં, શુક્રવારે લોકોની ભીડ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એકત્ર થઈ હતી. ન્યૂકેસલ, લિવરપૂલ, સાઉથપોર્ટ, ટેમવર્થ, શ્રુસબરી, બેરી, રીડિંગ, સ્લાઉ, ક્રોયડન, ચેમ્સ ફર્ડ, કિંગ્સ લીન અને હેમલ હેમ્પસ્ટીડ સહિત સમગ્ર યુકેના શહેરોમાં રેલીઓ કાઢવા આયોજન કરાયું હતું.
જૂથ અથડામણોનો સિલસિલો
પોલીસે સેન્ટ્રલ લંડનમાં શાંતિ જળવાઈ રહે તે માટે શનિવાર ૧૩ જૂનના સાંજના પાંચ વાગ્યાથી કરફ્યુ જાહેર કર્યો હોવાં છતાં, ટ્રફાલ્ગર સ્ક્વેર અને વોટર્લુ સ્ટેશનોએ ૧૩૦૦ જેટલા તોફાની તત્વો હાજર રહ્યા હતા. આ પછી, અતિ જમણેરી બ્રિટન ફર્સ્ટ જૂથો, હેટ ગ્રૂપ EDLના ગુંડાતત્વો , BLMના ટેકેદારો તેમજ રાયટ પોલીસ વચ્ચે અથડામણો સર્જાઈ હતી. રંગભેદવિરોધી અને પૂતળાંવિરોધ રેલીની સામે પૂતળાંતરફી રેલીઓ નીકળી હતી. આખા દિવસ દરમિયાન બંને જૂથોના તોફાનીઓ વચ્ચે ઝપાઝપી ચાલતી જ રહી હતી. પૂતળાં રાખવાની તરફેણમાં આવેલા યુનિફોર્મ સાથેના પીઢ લશ્કરી સૈનિકોએ તેમની વાત સમજાવી હતી પરંતુ, તેમના શાંત વિરોધનો દોર તોફાનીઓએ પોતાના હાથમાં લઈ લીધો હતો. તોફાની ટોળાંએ પોલીસની આડશો પર સતત હુમલા કર્યા હતા. આ જ રીતે હાઈડ પાર્ક અને વોટર્લુ સ્ટેશનોએ બે જૂથો વચ્ચે અથડામણો થઈ હતી. દરમિયાન, લિવરપૂલ અને બ્રાઈટોનમાં રંગભેદવિરોધી દેખાવોમાં હજારો લોકો ઉમટ્યાં હતા પરંતુ, રેલી શાંતિપૂર્ણ રહી હતી. જોકે, બ્રિસ્ટોલ અને ન્યૂકેસલમાં અથડામણો થઈ હતી.
બ્લેક લાઈવ્ઝ મેટરના સીનિયર આયોજક ઈમરાન આયટોને પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના સ્ટેચ્યુને પાર્લામેન્ટ સ્ક્વેરમાંથી ખસેડી લેવા હાકલ સાથે જણાવ્યું હતું કે રેસિસ્ટ ટીપ્પણીઓ કરનારા કોઈ પણનું સ્થાન મ્યુઝિયમમાં જ છે. જોકે, તેમણે રેલીઓ અતિ જમણેરી બળો વિરુદ્ધ હિંસક ‘જાતિયુદ્ધ’માં ફેરવાઈ ન જાય તે માટે BLM દેખાવકારોને લંડનની શેરીઓથી અળગાં રહેવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ, ફૂટબોલ હૂલિગન્સ અને કટ્ટરવાદી અતિ જમણેરી બળો પણ પૂતળાંઓને બચાવવા લંડનમાં એકત્ર થયા હતા. અતિ જમણેરી ગ્રૂપ બ્રિટન ફર્સ્ટનો નેતા પોલ ગોલ્ડિંગ શનિવારે ‘વ્હાઈટ લાઈવ્ઝ મેટર’ શબ્દો સાથેના વસ્ત્રમાં સેનોટાફ ખાતે દેખાયો હતો. સેંકડો પૂતળાંતરફી દેખાવકારો વ્હાઈટહોલ મેમોરિયલ ખાતે એકત્ર થયાં હતા જ્યાં, લોકો ચર્ચિલના પૂતળાંને ઘેરી વળીને ઉભા હતા અને રાષ્ટ્રગીત ગાતા હતા.
સંખ્યાબંધ પ્રતિમાઓ જડબેસલાક ઢંકાઈ
બ્રિટનના રંગભેદ અને ગુલામીના ભૂતકાળ સાથે સંકળાયેલા મહાનુભાવોની પ્રતિમાઓ અને ઐતિહાસિક સ્મારકોને ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ (BLM)ના સમર્થકોના રોષથી બચાવવા મેયર સાદિક ખાને યુદ્ધસ્મારક ધ સેનોટાફ, વિન્સ્ટન ચર્ચિલ, કિંગ જેમ્સ દ્વિતીય, જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મન્ડેલા અને મહાત્મા ગાંધી તેમજ અન્ય લોકોની પ્રતિમાઓની આસપાસ જડબેસલાક માંચડા લગાવી દીધા છે. મેયર સાદિક ખાને જમણેરી બળો દ્વારા હિંસા અને તોડફોડની સંભાવના દર્શાવી વેસ્ટમિન્સ્ટરમાં પૂતળાંને ઢાકવાંના પગલાંનો બચાવ કર્યો હતો. મેયર ખાને લંડનમાં તમામ સ્લેવ ટ્રેડર લેન્ડમાર્ક્સ દૂર કરવાની સાથોસાથ પ્રતિમાઓના વૈવિધ્યની સમીક્ષા અને સુધારણા ઉપરાંત ઘેરી ત્વચાના લોકોને પણ વધુ સ્થાન આપવા હાકલ પણ કરી છે.
ગાંધીપ્રતિમાને ઢાંકવી શરમજનક
બ્લેક લાઈવ્ઝ મેટરના સમર્થકોની રેલી અગાઉ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ઢાંકી દેવાઈ હતી. ગાંધી મેમોરિયલ સ્ટેચ્યુ ટ્રસ્ટના ચેરમેન લોર્ડ મેઘનાદ દેસાઈએ આ બાબતે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ બ્લેક લાઈવ્ઝ મેટરના સમર્થકોની રેલી અગાઉ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ઢાંકી દેવાઈ તે દયાજનક અને શરમજનક બાબત છે. ગાંધીને કશું છુપાવવા-ઢાંકવા જેવું હતું જ નહિ. તેઓ સામ્રાજ્યવાદ અને રંગભેદ સામેની લડાઈમાં પ્રણેતા હતા જેમણે, ડો. માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાને પ્રેરણા આપી હતી.’
‘ટોપલ ધ રેસિસ્ટ્સ’ અભિયાન શરુ કરાયું
બ્રિટનના સામ્રાજ્યવાદી ભૂતકાળ બાબતે ભારે વિવાદ સર્જાયો છે. ગત સપ્તાહે BLMના ટેકેદારો અને કાર્યકરોએ બ્રિસ્ટોલમાં ૧૭મી સદીના ગુલામોના વેપારી એડવર્ડ કોલસ્ટોનની પ્રતિમા ઉખાડી શહેરના હાર્બરમાં ડૂબાડી દીધી હતી. આ પછી, દેશભરના સંસ્થાનવાદી ઈતિહાસ ધરાવતાં સ્મારકો અને પ્રતિમાઓને દૂર કરવાનું ‘ટોપલ ધ રેસિસ્ટ્સ’ અભિયાન શરુ કરાયું છે, જેની યાદીમાં ૭૮ નામ મૂકાયા છે. આ પછી, ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં લેબર પાર્ટી હસ્તકની ૧૫૦ જેટલી કાઉન્સિલોએ આવા પૂતળાંને દૂર કરવાની સમીક્ષા આરંભી છે.
૭ જૂન રવિવારે દેખાવોમાં ચર્ચિલની પ્રતિમાના નીચેના ભાગે તેમને રેસિસ્ટ ગણાવતું ચિતરામણ કરવામાં આવ્યું હતું તેમજ સેનોટાફ પર લહેરાતા રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને આગ ચંપાઈ હતી. લંડનની વિશ્વપ્રસિદ્ધ ગાયઝ એન્ડ સેન્ટ થોમસ હોસ્પિટલોએ પણ સ્પેનિશ સંસ્થાનોમાં ગુલામોના વેપાર સાથે સંબંધ ધરાવતા તેમના સ્થાપક થોમસ ગાયની પ્રતિમાને દૂર કરવા વિચારવાની જાહેરાત કરી દીધી છે. જોકે, હોસ્પિટલ્સનું નામ નહિ બદલાય તેવી સ્પષ્ટતા પણ કરી છે. ડોકલેન્ડ્સના વેસ્ટ ઈન્ડિયા ક્વાયમાં મ્યૂઝિયમ ઓફ લંડનની બહાર ૧૮મી સદીના ગુલામોના વેપારી રોબર્ટ મિલિગનના પૂતળાંને પણ ઉખાડી નખાયું હતું. બ્રિટનના બે વખત વડા પ્રધાન બનેલા સર રોબર્ટ પીલના પાંચ પૂતળાં તેમજ સર થોમસ પિક્ટનનું પૂતળું પણ જોખમ હેઠળ છે.