લંડનઃ બ્રિટનના પીએમ રિશી સુનાકે રાજ્યાશ્રય મેળવવા લાઇનમાં રહેલા લગભગ પાંચ હજાર ગેરકાયદે ભારતીયોને આફ્રિકન દેશ રવાન્ડા મોકલવા ફરમાન જારી કર્યું છે. તેમને જૂનથી આફ્રિકન દેશ રવાન્ડા મોકલવામાં આવશે. પાંચ હજાર ભારતીયોમાં એવા લોકો પણ સામેલ છે જેઓ કાયદેસર રીતે બ્રિટન આવ્યા હતા અને પછી રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. તેમાં એવા ભારતીયો પણ સામેલ છે જેઓ 1 જાન્યુઆરી, 2022 પછી ઇંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ્યા હતા. હાલમાં યુકેના ડિટેન્શન સેન્ટરમાં આશરો લઇ રહેલા આ ભારતીયોનું ભવિષ્ય જોખમમાં છે સુનાકે ભારતીયોની શરણાર્થી અરજી ફગાવી દીધી છે.
બ્રિટનમાં શરણાર્થીનો દરજ્જો મેળવવા માગતા 5,253 ભારતીયોમાંથી 60 ટકા 18થી 29 વર્ષની વય જૂથના છે. તેમાંથી 1,200 ભારતીય બોટ દ્વારા જોખમી ઇગ્લિશ ચેનલના માર્ગે ગેરકાયદેસર બ્રિટનમાં પ્રવેશ્યા હતા. બ્રિટનમાં ગેરકાયદેસર આવતા ભારતીયોની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે. 2022માં 849 ભારતીય આ માર્ગે બ્રિટન આવ્યાં હતાં. બ્રિટનમાં ગૃહમંત્રાલયના અંદાજ પ્રમાણે લગભગ 2 હજાર ભારતીય ઇગ્લિશ ચેનલના માર્ગે બ્રિટનમાં પ્રવેશી શકે છે.


