રામ રાખે તેને કોણ ચાખેઃ લેસ્ટરના વિશ્વાસનો આબાદ બચાવ

ટેક ઓફની 30 સેકન્ડમાં ધડાકો થયો અને આંખના પલકારામાં વિમાન ક્રેશ થઇ ગયુઃ વિશ્વાસ કુમાર રમેશ

Tuesday 17th June 2025 12:05 EDT
 
 

લંડનઃ રામ રાખે એને કોણ ચાખે તે કહેવત યથાર્થ ઠેરવતાં એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન આવી રહેલી ફ્લાઇટ દુર્ઘટનામાં એક પ્રવાસી બચી ગયો હતો. ફ્લાઇટમાં સીટ નંબર 11એ પર પ્રવાસ કરી રહેલા લેસ્ટરના 40 વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશનો આ ક્રેશમાં આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત વિશ્વાસને સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં સારવાર અપાઇ હતી.

વિશ્વાસ કુમાર રમેશ પરિવારની મુલાકાત કરવા થોડા દિવસ ભારત આવ્યાં હતાં. તેઓ તેમના ભાઇ અજયકુમાર વિશ્વાસ સાથે બ્રિટન પરત ફરી રહ્યા હતા. વિશ્વાસને છાતી, આંખ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિમાન ટેક ઓફ થયાની 30 સેકન્ડમાં એક મોટો અવાજ આવ્યો અને પ્લેન ક્રેશ થઇ ગયું હતું. આ બધું આંખના પલકારામાં બની ગયું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી. કુમારે મોદીને જણાવ્યું હતું કે, વિમાન રન વે પરથી ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે જ વિચિત્ર અનુભવ થયો હતો. જાણે કે પાંચ દસ સેકન્ડ માટે બધું થંભી ગયું હતું. પછી અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ ઓન થઇ હતી. એમ લાગી રહ્યું હતું કે, પાયલટે ટેક ઓફ માટે પૂરું જોર લગાવી દીધું હતું. પછી આંખના પલકારામાં વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ સાથે ટકરાયું હતું.

કુમારે જણાવ્યું હતું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી તે બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે ટકારાયો હતો અને હું સીટ સાથે જ નીચે પડ્યો હતો. મારી નજરની સામે પ્રવાસીઓ સળગી રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter