લંડનઃ બ્રિટન ૩૧ ડિસેમ્બરે તેના ટ્રાન્ઝિશન સમયગાળામાંથી બહાર આવશે ત્યારે સેનેટરી ઉત્પાદન ટેમ્પાન પરનો ટેક્સનો અંત આવી જશે. ચાન્સેલર રિશિ સુનાક તેમના પ્રથમ બજેટમાં આગામી વર્ષથી ટેમ્પાન પરનો બિનલોકપ્રિય ટેક્સ દૂર કરશે. ઈયુના કાયદા હેઠળ તેના સભ્યોને ટેમ્પાન પરનો દર પાંચ ટકાથી નીચે લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. ઈયુમાં ટેમ્પાન અને સેનિટરી પેડ્સને આવશ્યક નહિ પરંતુ, લક્ઝરી આઈટમ ગણવામાં આવે છે.
સરકાર ઈયુના કાયદાઓ યુકેમાં લાગુ પડતા બંધ થશે તે પહેલી જાન્યુઆરીથી ટેમ્પાન પર શૂન્ય દર લાગુ કરવા માગે છે. આ પગલાંથી ૨૦ ટેમ્પાનના પેક પર સાત પેન્સ અને ૧૨ પેડ પર પાંચ પેન્સના કાપ સાથે મહિલાઓને જીવનકાળ દરમિયાન સરેરાશ ૪૦ પાઉન્ડની બચત થશે. મહિલા સંસ્થાઓ અને ચેરિટીઝ દ્વારા આ પગલાંને આવકાર અપાયો છે.
યુકેમાં સૈપ્રથમ ૧૯૭૩માં VAT દાખલ કરાયો ત્યારે સેનિટરી આઈટમ્સ પર સ્ટાન્ડર્ડ ૧૦ ટકાનો દર લાગુ કરાયો હતો જે વધીને ૧૯૯૧માં ૧૭.૫ ટકા થયો હતો. આ પછી જાન્યુઆરી ૨૦૦૧માં માત્ર પાંચ ટકા દર કરી દેવાયો હતો. ૨૦૧૫થી ટેમ્પાન અને સેનિટરી પેડ પરના ટેક્સથી થતી આવક કચડાયેલી મહિલાઓ માટે કામ કરતી ચેરિટીઓને ભંડોળમાં અપાય છે. આ સ્કીમ લોન્ચ થયાથી અત્યાર સુધી ૬૨ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ફાળવાઈ છે. બીજી તરફ, આ ટેક્સના વિરોધીઓએ જણાવ્યું હતું કે ટેમ્પાન ટેક્સ તરીકે અત્યાર સુધી ઉઘરાવાયેલા ૭૦૦ મિલિયન પાઉન્ડ મહિલા ચેરિટીઝ માટે ફાળવવા જોઈએ.
ચાન્સેલર સુનાક સરકારના આર્થિક બાબતોના નિયમોમાં છુટછાટ જાહેર કરી શકે તેમ છે. નિયમોને હળવા બનાવી શકે છે. કોરોના વાઈરસને કારણે અર્થવ્યવસ્થાને પણ અસર પહોંચી છે. આર્થિક વિકાસમાં ગતિ લાવવા માટે તેઓ બજેટમાં અત્યાર સુધીના સૌથી ઓછા વ્યાજદરની જાહેરાત કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાજેતરમાં બીબીસીના એન્ડ્રૂ માર્રને આપેલી મુલાકાતમાં ચાન્સેલર સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આર્થિક જવાબદારીનું મહત્ત્વ તેમને ખબર છે. જોકે સરકારના આર્થિક નિયમો બાબતે તેમણે ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાહેર સેવાઓને મદદરુપ થવા, પડકારોથી ઝઝૂમી રહેલા વેપાર-ઉદ્યોગને તથા રોગની સારવાર માટે આર્થિક બોજો સહન કરનારાઓને ધ્યાનમાં રાખીને તેઓ ખર્ચ મર્યાદા નક્કી નહીં કરે તેવી પણ શક્યતા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગળ વધવા માટે અવરોધ બનનારા તમામ પડકારોને આપણે પહોંચી વળીશું અને પરિસ્થિતિનો સામનો પણ દૃઢતાપૂર્વક કરવામાં આવશે.
ત્રણ મહિના અગાઉ ચૂંટણી દરમિયાન કન્ઝર્વેટિવ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ સુધી દૈનિક ખર્ચ માટે દેવું કરવામાં નહીં આવે શું તે બાબતને તેઓ વળગી રહે છે તે અંગે કોઇ નક્કર જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.કોરોના વાઈરસને કારણે મોટાભાગના દેશોના અર્થતંત્રને પણ અસર પહોંચી છે ત્યારે દેશના અર્થતંત્રને પણ ટેકો આપવા તથા નાગરિકો પર વધારે બોજો ના પડે તેવી કરરાહતોવાળું બજેટ આપવા માટેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોના વાઈરસનો ફેલાવો વધ્યો તે અગાઉથી જ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પણ આર્થિક બાબતોમાં રાહત આપવાની તરફેણમાં પોતાની લાગણી વ્યક્ત કરી ચૂક્યા છે.