લંડનઃ રોયલ સોસાયટી ઓફ લિટરેચરના ચેરમેન દલજિત નાગરા અને ડિરેક્ટર મોલી રોસેનબર્ગે તેમના હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું છે. 2024નું વર્ષ 250 વર્ષ જૂની ચેરિટી સંસ્થા માટે અસ્તિત્વનો સવાલ બની રહ્યું હતું. સોસાયટીના ફેલો સભ્યો ઇચ્છતા હતા કે બંને તેમના હોદ્દાનો ત્યાગ કરે તેથી એન્યુઅલ જનરલ મિટિંગ પહેલાં બંનેએ રાજીનામુ આપી દીધું હતું. છેલ્લા એક વર્ષમાં જે રીતે સોસાયટીના મેનેજમેન્ટમાં નિર્ણયો લેવાઇ રહ્યાં હતાં તેના કારણે અગાઉના ચેરમેન, પ્રેસિડેન્ટ અને ડિરેક્ટરમાં નારાજગી પ્રવર્તી રહી હતી.
સોસાયટી પર સલમાન રશ્દી અને કેટ ક્લેન્ચી સહિતના લેખકો પર થયેલા હુમલા બાદ તેમના બચાવમાં સામે નહીં આવવાનો આરોપ મૂકાયો હતો. સોસાયટી દ્વારા ફેલો મેમ્બર્સ અંગે આપખુદ નિર્ણયો લેવાતા હોવાની પણ ટીકા થઇ રહી હતી. પૂર્વ પ્રેસિડેન્ટ ડેમ મેરિના વોર્નર, કોલિન થબ્રોન અને અન્ય અગ્રણી લેખકો સહિતના ડઝનો સભ્યોએ ચિંતા વ્યક્ત કરતાં ચેરિટી કમિશન દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.


