લંડનઃ લંડનમાં શ્વેત લોકોની સરખામણીમાં અશ્વેત અને લઘુમતી સમુદાયના પીડિતો સામેના ગંભીર ગુનાઓમાં ગુનેગારો બચી નીકળે તેવી શક્યતા વધુ હોય છે. એક્શન ઓન આર્મ્ડ વાયોલન્સના તાજેતરના વિશ્લેષણ મુજબ, 2019થી 2023 દરમિયાન લંડનમાં નોંધાયેલા કુલ હત્યાના પીડિતોમાં લઘુમતી વંશીય બ્રિટિશ નાગરિકોનો હિસ્સો 61.7 ટકા હતો પરંતુ વણઉકેલાયેલી હત્યાઓના કિસ્સામાં આ પ્રમાણ આશ્ચર્યજનક રીતે 92.9 ટકા પર પહોંચી ગયું છે. તેનો અર્થ એ થયો કે 10માંથી 9 હત્યાના કેસ ઉકેલાતા જ નથી.
વિશ્લેષણ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન કુલ હત્યાના 40 ટકા પીડિતો અશ્વેત હતા, જ્યારે વણઉકેલાયેલી હત્યાના કેસોમાં તેમનો હિસ્સો 73 ટકા જેટલો ઊંચો હતો. ગોળીબારની વણઉકેલાયેલી ઘટનાઓમાં 83.7 ટકા અને છરાબાજીના કેસોમાં 73.5 ટકા અશ્વેત સમુદાયના હતા.
બીજી તરફ એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી છે કે આ પરિસ્થિતિથી કાનૂન હેઠળ અસમાન રક્ષણ મળતું હોવાની લાગણી દ્રઢ થઈ રહી છે, જે પોલીસ અને વંશીય લઘુમતી સમુદાયો વચ્ચેના સંબંધોને વધુ વણસાવી શકે છે.

