લીલામીમાં ગાંધીજીની જૂની તૂટેલી ખિસ્સા ઘડિયાળ £૧૨,૦૦૦માં વેચાઈ

Wednesday 25th November 2020 05:52 EST
 
 

મહાત્મા ગાંધીની જૂની અને તૂટેલી ખિસ્સા ઘડિયાળ લીલામીમાં £૧૨,૦૦૦માં વેચાઈ હતી. ગાંધીજીએ આ સ્વીસ બનાવટની આ સિલ્વર પ્લેટેડ ઘડિયાળ ૧૯૪૪માં આ ઘડિયાળના હાલના માલિકના દાદાને તેમના સમર્પણ બદલ આભાર વ્યક્ત કરવા ભેટ આપી હતી. ઈસ્ટ બ્રિસ્ટોલમાં યોજાયેલી લીલામીમાં આ ઘડિયાળના £૧૦,૦૦૦ ઉપજવાની અપેક્ષા હતી તેની સામે તે વધુ રકમમાં વેચાઈ હતી.

ઓક્શનર એન્ડ્રયુ સ્ટોવે જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા પ્રાઈવેટ કલેક્ટરે ઘડીયાળ ખરીદી હતી.

ગયા ઓગસ્ટમાં મહાત્મા ગાંધી પહેરતા હોવાનું મનાતા ચશ્મા £૨૬૦,૦૦૦માં લીલામીમાં વેચાયા પછી આ ઘડીયાળ વેચાઈ હતી. સ્ટોવે જણાવ્યું હતું કે ઘડીયાળનું વેચાણ વધુ એક સારું પરિણામ હતું. ઓગસ્ટમાં ગાંધીજીના ચશ્માનું અકલ્પનીય ભાવે વેચાણ થયું તે પછી અમને ગાંધીજીની ઘણી ચીજવસ્તુઓના વેચાણ સંબંધિત રજૂઆતો મળી હતી. તેમાં મોટાભાગની ચીજવસ્તુઓમાં સિક્કા, ફોટોગ્રાફ્સ અથવા ચિત્રોનો સમાવેશ થતો હતો. પરંતુ, અમને વેચાણ માટે જ્યારે આ ઘડીયાળ મળી ત્યારે અમે વિચાર્યું કે આ ખૂબ અદભૂત છે. અગાઉ આ ઘડીયાળની માલિકી એક મિસ્ત્રી અને ગાંધીજીના અનુયાયી મોહનલાલ શર્માની હતી.

સ્ટોવે જણાવ્યું કે ૧૯૩૬માં તેઓ ગાંધીજીને મળવા અને સ્વૈચ્છિકપણે પોતાની સેવા આપવા માટે ગાંધીજી પાસે ગયા હતા. તેમના આ સમર્પણ પ્રત્યે આભાર વ્યક્ત કરાવા માટે ગાંધીજીએ ૧૯૪૪માં તેમને આ ખિસ્સા ઘડીયાળ ભેટ આપી હતી. ૧૯૭૫માં આ ઘડીયાળ તેમના પૌત્ર પાસે આવી હતી. ગાંધીજીએ ઘણાં વર્ષો સુધી આ ઘડીયાળનો ઉપયોગ કર્યો હશે અને અંતે વિશ્વાસુ મિત્રને આપી દીધી હશે અને તે મિત્રે પણ તેને વર્ષો સુધી સાચવી રાખી એ અદભૂત બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter