લેડી ડાયેનાની પ્રતિમાનું અનાવરણઃ કેટ મિડલટનને આમંત્રણ નહિ

Wednesday 30th June 2021 06:44 EDT
 
 

લંડનઃ ગુરુવાર, ૧ જુલાઈએ પ્રિન્સેસ ડાયેનાની પ્રતિમાનું અનાવરણ કરાઈ રહ્યું છે અને પ્રિન્સ હેરી ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા યુકે આવી પહોંચ્યા છે. જોકે, ચોંકાવનારી બાબત એ કહી શકાય કે ડચેસ ઓફ કેમ્બ્રિજ-કેટ મિડલટનને આ કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું નથી. મેમોરિયલ લોન્ચિંગમાં પ્રિન્સ વિલિયમ અને હેરીની સાથે તેમની માતાનો પરિવાર, સ્ટેચ્યુ કમિટી, શિલ્પકાર અને ગાર્ડન ડિઝાઈનર ઉપસ્થિત રહેશે.

લેડી ડાયેનાની પ્રતિમાનું અનાવરણ ૨૦૧૭માં થવાનું હતું પરંતુ, લાંબા સમયથી ઠેલાતું રહ્યું છે. કેન્સિંગ્ટન પેલેસના જણાવ્યા મુજબ સુન્કેન ગાર્ડન ખાતે પ્રિન્સેસ ઓફ વેલ્સના ૬૦મા જન્મદિને તેમની પ્રતિમાના અનાવરણ પ્રસંગે બંને ભાઈઓ સાથે લેડી ડાયેનાનો નિકટનો પરિવાર, સ્ટેચ્યુ કમિટીના સભ્યો, શિલ્પકાર ઈયાન રેન્ક-બ્રોડલી અને ગાર્ડન ડિઝાઈનર પિપ મોરિસન ઉપસ્થિત રહેશે. પ્રિન્સ વિલિયમની પત્ની કેટની ગેરહાજરીથી બે ભાઈઓ વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસોને ફટકો પડશે તેમ મનાય છે. મૂળ તો ૧૦૦થી વધુ આમંત્રિતોની યાદી બનાવાઈ હતી પરંતુ, કોવિડ નિયમોના કારણે આમંત્રણો ઓછાં મોકલાયાં છે. આમંત્રિતોની મૂળ યાદીમાં સમાવિષ્ટ તમામ લોકો માટે સપ્ટેમ્બરમાં મોટા સમારંભનું આયોજન કરાશે.

એપ્રિલ મહિનામાં ડ્યૂક ઓફ એડિનબરાના ફ્યુનરલમાં સાથે દેખાયેલા બે ભાઈ વિલિયમ અને હેરી ફરી એક વખત એક પ્લેટફોર્મ પર આવશે. હેરીના સંબંધો સમગ્ર રોયલ ફેમિલી અને મોટાભાઈ વિલિયમ સાથે વણસેલા છે. એમ કહેવાય છે કે પ્રિન્સ હેરી બ્રિટિશ મીડિયાથી રોષિત હોવાથી તેમણે મોટા પાયે મીડિયાની હાજરીનો વિરોધ કર્યો છે. તેમણે ઈન્ટરનેશનલ કેમેરામેનની હાજરીનો આગ્રહ રાખ્યો છે.

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter