લેસ્ટરની હરીન્દર કૌર પર મેજર સિંઘની હત્યાનો આરોપ

પોલીસને એક વાનમાંથી મેજર સિંઘનો મૃતદેહ મળ્યો હતો, હરીન્દર કૌરનો પતિ દેશ છોડીને ફરાર

Tuesday 09th June 2026 10:35 EDT
 

લંડનઃ લેસ્ટરમાં વાનમાંથી મૃતદેહ મળવાના કેસમાં હૌન્સલો સ્થિત 39 વર્ષીય હરીન્દર કૌર પર 36 વર્ષીય મેજર સિંઘની હત્યાનો આરોપ મૂકાયો છે. હરીન્દરને 2 જૂનના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાઇ હતી. 27 મે બુધવારના રોજ એનસીપી ગાર્ડન સ્ટ્રીટ કાર પાર્કમાં ઊભેલી એક ફોર્ડ ટ્રાન્ઝિટ વાનમાંથી પીડિતનો મૃતદેહ મળી આવ્યો હતો. લેસ્ટરશાયર પોલીસને આ શંકાસ્પદ વાન અંગે બાતમી મળતાં અધિકારીઓએ વાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાંથી મેજર સિંઘનો મૃતદેહ મળી આવ્યો હતો.

મેજિસ્ટ્રેટ દ્વારા આ કેસ હવે લેસ્ટર ક્રાઉન કોર્ટને સોંપાયો છે. આરોપી મહિલા સામે હત્યા ઉપરાંત પુરાવાનો નાશ કરવા અને ગુનાના સ્થળની સફાઈ કરીને મૃતદેહનો નિકાલ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સરકારી વકીલ સુખી બાસીએ કોર્ટને જણાવ્યું હતું કે, હરીન્દર કૌરનો પતિ હાલ દેશ છોડીને ભાગી ગયો છે અને પોલીસ આ કેસના સંદર્ભમાં તેની પણ સઘન શોધખોળ ચલાવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા 31 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે થઈ હોવાનું અનુમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter