લેસ્ટરમાં કારચાલકે 5 રાહદારીને કચડ્યાઃ 3ની ધરપકડ

ઘટનાની માહિતી જારી કરવામાં વિલંબથી લેસ્ટરનો હિન્દુ સમુદાય નારાજઃ એચસીઓજી

Tuesday 03rd June 2025 16:19 EDT
 
 

લંડનઃ લેસ્ટરમાં ગયા શનિવારે મધરાત બાદ 12.34 કલાકે ડ મોન્ટફોર્ટ સ્ટ્રીટ પર એક કારે રાહદારીઓને કચડી નાખતાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. 3 પીડિતને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ માટે પોલીસે લેસ્ટરના ગ્લેનડોલેન રોડના 28 વર્ષીય ગુરવિન્દર સિંહ પર ઇરાદાપુર્વક ઇજા પહોંચાડવાના પાંચ આરોપ મૂકીને ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, નજીકમાં આયોજિત પ્રાઇવેટ ઇવેન્ટમાં લડાઇ બાદ આ ઘટના બની હતી. પોલીસે રાહદારીઓને કચડી નાખનાર કાર જપ્ત કરીને એક 31 અને 34 વર્ષીય બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમના પર ભયજનક ડ્રાઇવિંગ અને ઇરાદાપુર્વક ઇજા પહોંચાડવાના આરોપ મૂકાયા હતા. પોલીસે બંનેને જામીન પર મુક્ત કર્યાં હતાં. 

દરમિયાન હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ્સ (એચસીઓજી)ના વિનોદ પોપટે જણાવ્યું હતું કે, દ મોન્ટફોર્ટ સ્ટ્રીટની ઘટનાથી સમગ્ર સમુદાય ચિંતિત અને દુઃખી છે. વાહનચાલક અને પીડિતોની ઓળખ અને વંશીય ઓળખ જાહેર કરવામાં થયેલા વિલંબે હિન્દુ સમુદાયના તણાવમાં વધારો કર્યો હતો. સ્પષ્ટ માહિતીના અભાવે અફવાઓ ફેલાવા લાગી હતી. સમુદાયો વચ્ચેના વિશ્વાસની જાળવણી માટે સમયસર અને પારદર્શક માહિતી અપાવી જરૂરી છે.

વિનોદ પોપટે જણાવ્યું હતું કે, લીવરપૂલની ઘટનામાં તાત્કાલિક માહિતી જારી કરી દેવાઇ હતી. અમે સ્થાનિક પોલીસને આ પ્રકારના કેસોમાં માહિતી જારી કરવામાં થતા વિલંબની વ્યાપક અસરો ધ્યાનમાં લેવા અપીલ કરીએ છીએ. જેથી ભય અને અફવા ન ફેલાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter