લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ચેતવણી આપી છે કે બ્રિટન સામે લોકડાઉન પછીના સમયગાળામાં ત્રાસવાદી પ્લોટ્સ-કાવતરાઓનો સામનો કરવાનું જોખમ છે. મહામારી દરમિયાન નિયંત્રણોના કારણે ઈસ્લામિક ધર્મઝનૂનીઓ અને જમણેરી કટ્ટરવાદીઓ પર અંકુશ આવી ગયો હતો પરંતુ, નિયંત્રણો હળવાં થવાની સાથે જ કાવતરાંઓમાં ઉછાળો આવે તેવી દહેશત જણાય છે. મહિનાઓ સુધી લોકો ઓનલાઈન રહેવાના કારણે પણ નવા કટ્ટરવાદી લોકોની ભરતીમાં પણ ઉછાળો આવ્યાની શંકા છે.
હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું હતું કે,‘ આવું જોખમ સર્વત્ર છે. એક આખું વર્ષ લોકો બંધનમાં રહ્યા હતા. માનસિક આરોગ્યના સંદર્ભે પણ ઘણી સમસ્યાઓ જોવાં મળી છે. ત્રાસવાદ પ્રકારની વર્તણૂકોની બાબતે પ્રોત્સાહક બની રહે તેવા વાતાવરણના અનેક પરિબળો પર આપણે નજર રાખવી પડશે.’
હોમ સેક્રેટરીની ટીપ્પણીને સમર્થન આપતા નેશનલ કાઉન્ટર ટેરરિઝમના પૂર્વ વડા ક્રિસ ફિલિપ્સે જણાવ્યું હતું કે,‘જમણેરી ત્રાસવાદની વૃદ્ધિ ચિંતાનો મુખ્ય વિષય છે. હાલ તે ચોક્કસપણે વધી રહેલ છે અને અતિ કટ્ટરવાદી ઈસ્લામિક જોખમ-ધમકી તો યથાવત જ છે.’
ઉલ્લેખનીય છે કે લોકડાઉન નિયંત્રણોના કારણે ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઘટી ગઈ હતી અને ૨૦૨૦માં ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી નેટવર્કે તો કોવિડ-૧૯નું સંક્રમણ ન લાગી જાય તે માટે યુરોપથી દૂર રહેવા પોતાના અનુયાયીઓને સૂચના આપી હતી. આમ છતાં, બ્રિટિશ સિક્યુરિટી એજન્સીઓને ચિંતા છે કે મહામારી દરમિયાન લોકો લાંબો સમય ઓનલાઈન રહેતા હતા જેનાથી કટ્ટરવાદીતામાં બ્રેઈનવોશિંગ થવાની અને પરિણામે ભાવિ હુમલાઓને જોર મળવાની શક્યતા છે.
ત્રાસવાદની ધમકીઓને પહોંચી વળવા હોમ ઓફિસ, MI5 અને પ્રિઝન સર્વિસને એક છત હેઠળ લાવતા નવા કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ સેન્ટરને ૨૮ જૂન સોમવારે ખુલ્લું મૂકાયું છે.