લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારે વિરોધ છતાં લોકડાઉન નિયંત્રણો ૧૯ જુલાઈ સુધી લંબાવ્યા છે. જોકે, અગાઉના રોડમેપ મુજબ ૨૧ જૂનથી લગ્ન સમારંભમાં સંખ્યા સહિતના નિયંત્રણોમાં મર્યાદિત રાહત મળશે. આમ છતાં, નાઈટ ક્લબ્સ બંધ રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું યથાવત છે. વડા પ્રધાને ૧૯ જુલાઈ પહેલા પણ નિયંત્રણો ઉઠાવી લેવાય તેવું આશ્વાસન આપ્યું છે જેની શક્યતા ઘણી ઓછી છે.
લગ્ન સમારંભોઃ ૨૧ જૂને લગ્નો સહિતના મોટા મેળાવડા પરના નિયંત્રણો રદ કરાવાની આશા હતી. હાલ લગ્નોમાં ૩૦થી વધુ મહેમાનોને આવકારી શકાતા નથી. આ સંખ્યા મર્યાદા ઉઠાવી લેવી છે પરંતુ, લગ્નસ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ફરજિયાત રહેશે. આનાથી કોઈ રુમમાં વ્યક્તિની હાજરી મર્યાદિત બની જશે. ડાન્સ અને ગીતોની રમઝટ બોલાવી શકાશે નહિ. એક ટેબલ પર છથી વધુ મહેમાનો અથવા બેથી વધુ પરિવાર પણ બેસી શકશે નહિ. લગ્નમાં મહેમાનોએ હરતાફરતા માસ્ક પહેરવાના રહેશે અને બારને પણ ટેબલ સર્વિસનો નિયમ પાળવાનો રહેશે. આઉટડોર લગ્નોમાં મહેમાનોની વધુ સંખ્યાની છૂટ રહેશે. ૩૦થી વધુ મહેમાનોની હાજરી માટે જોખમોની શક્યતા ચકાસવાની રહેશે. લગ્નો પૂરતા વેન્ટિલેશન સાથેના તંબુઓ અથવા ખાનગી જમીનો પર પણ યોજી શકાશે.
નામકરણ અને રાત્રિજાગરણઃ ૩૦ મહેમાનની મર્યાદા ધરાવતા નામકરણ અને રાત્રિજાગરણ કાર્યક્રમોમાં સંખ્યાકીય છૂટ મળવાની આશા હતી. અંતિમવિધિ કે ફ્યુનરલ્સમાં ૩૦ શોકાતુરની સંખ્યામર્યાદા દૂર કરી દેવાઈ છે. રાત્રિજાગરણ કાર્યક્રમોમાં મર્યાદા હટાવી લેવાઈ છે પરંતુ, નામકરણ માટે ૩૦ મહેમાનની મર્યાદા યથાવત છે. લગ્નોની માફક જ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
નાઈટ ક્લબ્સ, પબ્સ અને બારઃ જૂના રોડમેપ અનુસાર ૨૧ જૂનથી નાઈટ ક્લબ્સ ખૂલવાની આશા હતી પરંતુ, હવે ૧૯ જુલાઈ સુધી તે બંધ રહેશે. જો પરિસ્થિતિ સુધરશે તો ૫ જુલાઈથી તેની ખૂલવાની શક્યતા જણાય છે. પબ્સ અને બારમાં પણ ૨૧ જૂનથી સોશિયલ ડિસ્ટન્સિંગ મર્યાદા દૂર કરાવાની આશા હતી. જોકે, આ નિયમોનો અમલ યથાવત રખાયો છે. ટેબલ સર્વિસ ચાલુ રહેશે અને મોટા ભાગના કસ્ટમર્સે બૂકિંગનો આશરો લેવો પડશે. રેસ્ટોરામાં રુલ ઓફ સિક્સનું પાલન કરવાનું રહેશે. આઉટડોરમાં ૩૦થી વધુ લોકોનું જૂથ એકત્ર થઈ શકશે નહિ.
થીએટર્સ અને મ્યુઝિક અને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ૫૦ ટકા કેપિસિટીનો નિયમ યથાવત છે. યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અને વિમ્બલ્ડન ટેનિસ જેવા મોટાં ઈવેન્ટ્સ શરુ કરી શકાય તે માટે પાઈલોટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.