લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ઈંગ્લેન્ડને લોકડાઉનમાંથી બહાર કાઢવાની દિશામાં આગળ વધ્યા છે. તેમમે એવો સંકેત પણ પાઠવ્યો છે કે જો બધુ બરાબર ચાલતું રહેશે તો આગામી મહિને સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણ અંત આવી શકે છે. જોકે, તેમણે એ સ્પષ્ટતા પણ કરી છે કે તેઓ લોકડાઉનનો અંત લાવવામાં કઈ ઉતાવળ કરશે નહિ. રોડમેપ અનુસાર ૧૭ મે સોમવારથી સમગ્ર ઈંગ્લેન્ડમાં પબ્સ, રેસ્ટોરાં અને કાફેમાં કસ્ટમર્સને અંદર બેસવાની સુવિધા મળતી થશે. હોટેલ્સ, બીએન્ડબી, સિનેમા તેમજ મ્યુઝિયમ્સ પણ ખોલી શકાશે. બીજી તરફ, ફ્યુનરલમાં હાજર રહેવા શોકાતુરોની ૩૦ની સંખ્યાકીય મર્યાદા દૂર કરવામાં આવી છે. સામાજિક સંપર્કો પણ વધારી શકાશે. બીજી તરફ, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમને પસંદગી અપાઈ છે.
મહિનાઓ સુધી અળગા રહ્યા પછી બે પરિવારો અથવા છ વ્યક્તિના જૂથોને ઘરમાં મળવાની છૂટ મળશે. ઓવરનાઈટ મુલાકાતોને પણ પરવાનગી અપાઈ છે જ્યારે લગ્નો અને અન્ય લાઈફ ઈવેન્ટ્સમાં આઉટડોર્સમાં મહત્તમ ૩૦ વ્યક્તિને મળવાની છૂટ અપાઈ છે તે સૌથી નોંધપાત્ર છે. ઓડિયન્સ માસ્ક પહેરશે તેવી શરતે સિનેમાગૃહો અને થિયેટર્સને ખોલવાની પરવાનગી મળી છે. ગત સપ્તાહે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કરેલી જાહેરાત અનુસાર ટ્રાફિક લાઈટ સિસ્ટમ હેઠળના પસંદગીના દેશોમાં રજાઓ ગાળવાની છૂટ ૧૭ મેથી મળવાની છે.
કેર હોમ્સમાં એકલનિવાસી વયોવૃદ્ધો અને તેમના પરિવારોને ભારે રાહત મળે તેવાં પગલામાં પાંચ ચોક્કસ વ્યક્તિઓ અલગ અલગ તેમની મુલાકાત લઈ શકશે. જો ટેસ્ટિંગ કરાયું હોય ને ગાઈડલાઈન્સ અનુસરે તો બે વ્યક્તિ એકસાથે કેર હોમ્સમાં મુલાકાત લઈ શકશે.
લોકડાઉન હળવું કરવામાં ઉતાવળ નહિ
વડા પ્રધાને સોમવારે મહિનાઓથી અળગા રહેલા ગાઢ મિત્રો અને પરિવારજનો નજદીકી સંપર્કમાં રહી શકે તેવી છૂટછાટ ૧૭મેથી જાહેર કરી છે. રોડમેપ અનુસાર છૂટછાટો જાહેર કરવા સાથે વડા પ્રધાને કહ્યું હતું કે જૂન ૨૧ સુધીમાં કોવિડ દુઃસ્વપ્નનો અંત આવી જશે. આ પછી, એક મીટરથી વધુ અંતર જાળવવા સહિતના નિયમો દૂર કરી શકાશે. છતાં, તબક્કાવાર લોકડાઉન હળવું કરવામાં કોઈ ઉતાવળ નહિ કરાય.
લોકડાઉનની અને વધુ છૂટછાટો અમલી કરતા પહેલા સંખ્યાબંધ ફેરફારોની સમીક્ષા કરવાની રહેશે તેમ પણ તેમણે કહ્યું હતું.
લોકોને સાવધ રહેવા અનુરોધ
મેડિકલ અને સાયન્ટિફિક વડાઓ ક્રિસ વ્હિટી અને સર પેટ્રિક વોલેન્સને સાથે રાખી ડાઊનિંગ સ્ટ્રીટ ખાતે બ્રીફિંગ કરતા વડા પ્રધાન જ્હોન્સને લોકોને સાવધ રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકોએ ઊંચે જતા કેસીસ અને વેરિએન્ટ્સના જોખમ બાબતે તકેદારી રાખવી જોઈશે. મહત્ત્વની બાબત એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ હવે અંગત પસંદગી પર છોડી શકાય તે માટે જોખમ ઘણું ઓછું હોવાનું સરકારે નક્કી કર્યું છે. આનો અર્થ એમ છે કે ખાનગી મેલાવડાઓમાં લોકો એકબીજાને આલિંગન આપી શકશે પરંતુ, સાવધાની રાખવી સારી ગણાશે. જોકે, સંક્રમણદર ઘણો ઓછો છે ને વેક્સિનેશને ગતિ પકડી હોવાં છતાં, પબ્સ-બાર અને રેસ્ટોરાંમાં કે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે. આરોગ્ય વડાઓના કહેવા અનુસાર ગત મહિનાઓમાં કોરોના વાઈરસ સંક્રમણ, હોસ્પિટલ એડમિશન્સ અને મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એ છે કે કોરોના વાઈરસ હવે સામાન્ય પ્રસારમાં છે અને સંક્રમણ ઊંચું કે વધી રહેલું નથી.