લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે નવા લોકડાઉન પગલાંની જાહેરાત થાય તે અગાઉ જ નવી ફર્લો સ્કીમ જાહેર કરી હતી. લોકડાઉનના કારણે જે હોસ્પિટાલિટી બિઝનેસીસ બંધ કરવાની ફરજ પડશે તેમાં વર્કર્સને બે તૃતીઆંશ વેતનની ચૂકવણી સરકાર કરશે. સ્થાનિક નેતાઓ અને ઈન્ડસ્ટ્રીઝ નિષ્ણાતોએ આ પેકેજને અપૂરતું ગણાવ્યું હતું.
વડા પ્રધાન જ્હોન્સને થ્રી ટિયર લોકડાઉન જાહેર કર્યું છે તેમાં મર્સીસાઈડ અને નોર્ધર્ન ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોના પબ્સ અને બાર પર બંધ થવાની તવાઈ આવી છે. બિઝનેસીસને થનારા નાણાકીય નુકસાનને હળવું કરવા બાબતે ચાન્સેલરે જણાવ્યું હતું કે પહેલી નવેમ્બરથી યુકેની જે કંપનીઓને અને ખાસ કરીને પબ્સ, બાર અને રેસ્ટોરાંને બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિમાં સરકાર ગ્રાન્ટની ચૂકવણી કરી વેતનને સબસિડાઈઝ કરશે. ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવતઃ છ મહિના સુધી અમલમાં રહેનારા આ પેકેજનો કુલ ખર્ચ બિલિયન્સ પાઉન્ડ હશે.
જોકે, નોર્ધર્ન ઈંગ્લેન્ડના નેતાઓએ આ પેકેજને અપૂર્ણ ગણાવી કહ્યું હતું કે તેનાથી લોકડાઉનની નાણાકીય મુશ્કેલીઓ હળવી નહિ બને. ગ્રેટર માન્ચેસ્ટર, શેફિલ્ડ અને લિવરપૂલ તેમજ નોર્થ ટાયનેના મેયરોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ચાન્સેલરનું પગલું સારો આરંભ છે પરંતુ, આ શિયાળામાં મુશ્કેલીઓ, ગુમાવેલી નોકરીઓ અને બિઝનેસીસની નિષ્ફળતાને અટકાવવાના સંદર્ભે તે પૂરતું નથી.