લંડનઃ આરોગ્ય સત્તાવાળાઓએ ચેતવણી ઉચ્ચારી છે કે વજન ઘટાડવા માટેની દવા ઓઝેમ્પિક લેવાથી એક આંખમાં અચાનક અંધાપો આવી શકે છે. મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ જણાવ્યું છે કે વેઇટ લોસ ઇન્જેક્શનથી નોન-આર્ટરિટિક એન્ટિરિઓર ઇસ્કેમિક ઓપ્ટિક ન્યૂરોપથીનું જોખમ રહેલું છે.
આ સમસ્યા આંખમાંની નર્વમાં લોહીનો પ્રવાહ ઘટવાથી સર્જાઇ શકે છે. તેના કારણે અચાનક એક આંખમાં અંધાપો આવી શકે છે. જે લોકો આ સમસ્યાનો શિકાર બન્યાં છે તેમનું કહેવું છે કે તેમને અચાનક ઝાંખુ દેખાવા લાગે છે. ડાયાબિટિસ અને વેઇટ લોસ માટે ઓઝેમ્પિક બ્રાન્ડ અંતર્ગત વેચાતી સેમાગ્લુટાઇડ દવા માટે આ ચેતવણી જારી કરાઇ છે.
એજન્સીએ જણાવ્યું છે કે સેમાગ્લુટાઇડ લેવાના કારણે આ સમસ્યાનો ભોગ બનતા હોવાના 3 રિપોર્ટ અમને મળ્યાં છે. જોકે એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે જોખમનો દર ઘણો ઓછો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં 10.2 મિલિયન પેક સેમાગ્લુટાઇડ આપવામાં આવ્યાં છે.


