લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વિદેશી હેલ્થ અને કેર વર્કર્સ પર NHS સરચાર્જ મુદ્દે ફેરવી તોળ્યું છે. તેમણે ૪૦૦ પાઉન્ડનો સરચાર્જ રદ કરવા આદેશ આપ્યો છે. અગાઉ, તેમણે આ સરચાર્જથી NHSને ૯૦૦ મિલિયન પાઉન્ડની આવક મળતી હોવાનું જણાવી પ્રશંસા કરી હતી. જોકે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝે (IFS) દાવો કર્યો હતો કે વિદેશી હેલ્થકેર વર્કર્સને માફી આપવાથી માત્ર ૯૦ મિલિયન પાઉન્ડનો જ ખર્ચ થશે.અગાઉ, સરકારે કોરોના વાઈરસથી મોતનો શિકાર બનતા હેલ્થ વર્કર્સના પરિવારોને યુકેમાં વસવાટ કરવા દેવાની મંજૂરી જાહેર કરી છે.
કોરોના સામે જંગમાં મોખરે રહેલા પરદેશી હેલ્થ અને કેર વર્કર્સ પર વાર્ષિક ૪૦૦ પાઉન્ડની લેવી અનૈતિક અને સ્વાર્થી હોવાનું જણાવી વરિષ્ઠ ટોરી સભ્યોએ તેનો ભારે વિરોધ કર્યા પછી વડા પ્રધાન જ્હોન્સને NHS સરચાર્જ રદ કરવાનો આદેશ આપવો પડ્યો છે. બે દિવસ અગાઉ જ વડા પ્રધાને PMQમાં આ સરચાર્જથી હેલ્થ સર્વિસને ૯૦૦ મિલિયન પાઉન્ડની આવક મળતી હોવાનું જણાવી પ્રશંસા કરતા વિવાદ સર્જાયો હતો.
બીજી તરફ, IFS દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે વાસ્તવમાં NHSના ૨૨૫,૦૦૦ વિદેશી સ્ટાફ અને કેર વર્કર્સ સરચાર્જ તરીકે વાર્ષિક આશરે ૯૦ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરે છે. ટોરી સાંસદોએ પણ આ સરચાર્જની ભારે ટીકા કરતા કહ્યું હતું કે આ ઘણી નાની રકમ છે. આખરે વડા પ્રધાને NHSના વિદેશી સ્ટાફ અને કેર વર્કર્સને આ સરચાર્જમાંથી મુક્તિ આપવાના આદેશ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિદેશના કેરર્સનો તેમને અંગત લાભ પણ મળ્યો છે. NHSના વિદેશી સ્ટાફ અને કેર વર્કર્સ અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે. લેબરનેતા સર સ્ટાર્મરે વડા પ્રધાનના નિર્ણયને આવકાર્યો હતો.
ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ કોણે ચૂકવવો પડે છે?
યુરોપિયન ઈકોનોમિક એરિયા બહારથી યુકે આવતા વર્કરોએ હેલ્થ સર્વિસના ઉપયોગ કરવા માટે આ ફી ચૂકવવાની રહે છે. સ્ટુડન્ઝ વિઝા તેમજ અન્ય તમામ ઈમિગ્રેશન વિઝા અરજદારો માટે અનુક્રમે વાર્ષિક ૩૦૦ અને ૪૦૦ પાઉન્ડ ફી છે. વિઝા પરમિટના પૂર્ણ સમય માટે ફી ભરવાની હોય છે. જો બે વર્ષના વિઝા હોય તો એકસાથે ૮૦૦ પાઉન્ડ ભરવાના રહે છે. વિઝા અરજદારના આશ્રિતો માટે પણ આ ફી ચૂકવવાની થાય છે. પરિવારને મળવા યુકે આવનારના વિઝા છ મહિનાના હોય તેમણે પણ આ ફી ભરવી પડે છે. આ ફી ઓક્ટોબરથી વધારીને વાર્ષિક ૬૨૪ પાઉન્ડ થવાની છે. આગામી જાન્યુઆરીથી આ ફી બ્રેક્ઝિટ પછી યુકે આવનારા તમામ ઈયુ નાગરિકોને પણ લાગુ કરાશે. એવી ટીકા કરાય છે કે જો વ્યક્તિ યુકેમાં કામ કરીને ઈન્કમ ટેક્સ ચુકવવા સાથે નેશનલ ઈન્સ્યુરન્સનો ફાળો આપતો હોય તો આ ફી શા માટે ચુકવવી જોઈએ.
હેલ્થ સરચાર્જ કોણે ચૂકવવો પડે નહિ
• જો તમે બેમુદત પ્રવેશ કે વસવાટની અરજી કરતા હો • રાજદ્વારી અથવા મુલાકાતી લશ્કરી દળોના સભ્ય હો • યુકે અથવા અન્ય દેશના લશ્કરી દળોના સભ્યના આશ્રિત હો • યુરોપીય નાગરિકના પરિવારજન હો • આઈલ ઓફ મેન અથવા ચેનલ આઈલેન્ડ્સ માટે વિઝાઅરજી કરી રહ્યા હો • ફોકલેન્ડ આઈલેન્ડ્સમાં બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી સિટિઝન રેસિડેન્ટ હો • એસાઈલમ- રાજ્યાશ્રય માગનારા હો • ગુલામી, માનવ તસ્કરી અથવા ઘરેલુ હિંસાના પીડિત અથવા તેમના સંબંધી હો તો તમારે આવો હેલ્થ સરચાર્જ ચૂકવવો પડતો નથી.