લંડનઃ એનએચએસ દ્વારા 65 થી 80 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકો માટે મફત ડબલ ડોઝ શિંગલ્સ રસી અપાશે. આ રસી શિંગલ્સના ચેપ સામે રક્ષણ આપે છે. મોટાભાગના લોકો શિંગલ્સમાંથી ઝડપથી સાજા થઈ જાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ચેપ ગંભીર જટિલતાઓ ઊભી કરી શકે છે
નવા નિયમો મુજબ 1 સપ્ટેમ્બર 2023 પછી 65 વર્ષની વય પૂરી કરનાર તમામ નાગરિકો આ રસી માટે પાત્ર બને છે. તેમને 6 થી 12 મહિનાના અંતરાલમાં રસીના 2 ડોઝ આપવામાં આવે છે. જેઓ 1 સપ્ટેમ્બર 2023 પહેલા 65 વર્ષના થઈ ચૂક્યા હતા, તેઓ 70 વર્ષની વયે પહોંચ્યા પછી આ રસી મેળવવા માટે પાત્ર બને છે. પાત્ર નાગરિકો 80 વર્ષની ઉંમર સુધી આ રસી મેળવી શકે છે જ્યારે બીજો ડોઝ 81 વર્ષની વય સુધી લઈ શકાય છે.
જીપી સર્જરી દ્વારા પાત્ર નાગરિકોનો સંપર્ક પત્ર, એસએમએસ કે ફોન દ્વારા કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાત્ર હોય અને તેમનો સંપર્ક કરવામાં આવ્યો ન હોય, તો તેમને સબંધીત જીપી સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે.


